. આર્થિકતંગીની ચિંતામા વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી જીંદગીની દોર ટૂંકાવી
શહેરમાં હરરોજ આપઘાતના બનાવોમાં અવિરત વધારો થઈ રહ્યો છે ત્યારે બીમારીમાં સપડાયેલા પુત્રની પીડા જોઇ ન શકતા જનેતાએ અગ્નિસ્નાન કરી લીધું હતું. તેમજ ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલી માલધારી સોસાયટીમાં વૃદ્ધે આર્થિકતંગીથી કંટાળી ઝેરી દવા પી જિંદગીનો છેડો ફાડી નાખ્યો હતો.
વિગતો મુજબ, સંત કબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં રહેતા ધરમબા ધર્મેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.61) નામના વૃધ્ધા ઘરે હતા ત્યારે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ચાલુ સારવારમાં તેઓએ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જ્યો હતો.બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક ધરમબાના નાના પુત્ર હરદેવસિંહને કિડનીની તકલીફ હોવાથી તેનું ડાયાલીસીસ ચાલે છે.પુત્રની આ વ્યથાને જોઈ ન શકતા માતાએ આ પગલું ભરી લીધું હતું.
બીજા બનાવમાં , ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલો માલધારી સોસાયટીમાં રહેતા કિરીટભાઈ દેવદાસભાઈ રાઠોડ (ઉ.વ.70) નામના વૃદ્ધે ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનવા અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક કિરીટભાઈ ખાનગી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે ઘરમાં આર્થિક તંગી હોય જેની ચિંતામાં આ પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં ભારે શોક છવાયો જવા પામ્યો હતો.