બે બાળકો જન્મતાની સાથે જ મોતને ભેટતા જનેતાએ કર્યો આપઘાત
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામે રહેતી કાજલબેન મોનાભાઈ ટોયટા (ઉ.વ.25) નામની પરિણીતાના લગ્નના ચાર વર્ષમાં બે બાળકો જન્મતાની સાથે જ મોતને ભેટતા તેના આઘાતમાં પરિણીતાએ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરતાં મૃતકના સબંધીએ જણાવ્યું હતું કે,મૃતકનું માવતર મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં આવેલું છે. તેણીના ચાર વર્ષ પહેલાં માલિયાસણ રહેતાં મોનાભાઈ સાથે લગ્ન થયાં હતા. લગ્ન બાદ તેણી સાસુ-સસરા, દિયર અને દેરાણી સાથે સંયુક્ત પરીવારમાં રહેતી હતી.લગ્નના એક વર્ષ બાદ તેણીને સારા દિવસો રહ્યાં હતાં અને ગર્ભવતી થયાના આઠમાં માસે તેણીએ બાળકને જન્મ આપ્યો હતો અને આઠમા માસે જન્મેલ બાળકને પેટીમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો અને દોઢ માસની સારવારના અંતે તેમનું મોત નિપજતાં જનેતા અને પરીવારમાં શોક વ્યાપી ગયો હતો. બાદમાં ફરીવાર તેણી ગર્ભવતી બની હતી.પરંતુ અધૂરા માસમાં બાળકનો જન્મ થતાં તેનું પણ એક દિવસની ટૂંકી સારવારમાં મોત થયું હતું જેથી બે બાળકોના મોતના આઘાતમાં તેણીએ આ પગલું ભયું હતું.