સીટ’નો ઓળિયો-ઘોળિયો સાગઠિયા-ખેર ઉપર !!
જેનો ડર હતો એ જ થયું…!અધિકારીઓ-પદાધિકારીઓને ચોખ્ખા-ચણાંક દર્શાવી નાની માછલીઓને જ દોષિત ઠેરવતો રિપોર્ટ તૈયાર કર્યાનો ગણગણાટ
કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ઉંડાણપૂર્વક તપાસ થશે, પીડિતોને ન્યાય મળશે સહિતના દાવાનું સૂરસૂરિયું
સરકારનો કોઈ અધિકારી-કર્મચારી
આકા’ના આદેશ વગર કામ કરે જ નહીં તે સૌ કોઈ જાણતું હોવા છતાં કઈ રીતે ક્લિનચીટ' અપાઈ હશે તે સો મણનો સવાલ: હવે હાઈકોર્ટ પર બધો
મદાર’
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ સિલસિલો ચાલી રહ્યો હતો ત્યારે સરકારના એક બાદ એક મંત્રી એવા બણગા ફૂંકી રહ્યા હતા કે કાંડ સાથે જેમની પણ સંડોવણી ખુલશે તેની સામે આકરી કાર્યવાહી કરાશે અને કોઈ પણ ચમરબંધી હોય તો તેને છોડવામાં આવશે નહીં ! આ બધી વાતો સાંભળીને પીડિતના પરિવારજનો તેમજ શહેરીજનોને એમ કહેતા હતા કે ભગવાન કરે આ દાવો સાચો પડી જાય…મોટા ઉપાડે સરકાર દ્વારા ત્રણ-ત્રણ સીટની રચના કરવામાં આવી હતી જેણે મસમોટો રિપોર્ટ તૈયાર કરીને સરકારને અને સરકારે હાઈકોર્ટને સોંપી દીધો છે. આ બધાની વચ્ચે એવી ચર્ચાએ જોર પકડી લીધું છે કે સીટ' દ્વારા સંપૂર્ણ ઓળિયો-ઘોળિયો એમ.ડી.સાગઠિયા, ઈલેશ ખેર સહિતના ઉપર ઢોળી દેવામાં આવ્યો છે ! આ કાંડ સર્જાયા બાદ સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ડીસીપી સહિતનાની પોસ્ટિંગ આપ્યા વગર જ બદલી કરી નાખવામાં આવી હતી. આ પછી એવી શક્યતા હતી કે ઉપરોક્ત ચાર ઉપરાંત રાજકોટમાં ફરજ બજાવી ગયેલા અને જેમની ગેઈમ ઝોન પર જઈને આનંદ માણ્યાની તસવીરો વાયરલ થઈ હતી તેમને જવાબદાર ગણવાની
હિંમત’ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા કરવામાં આવશે પરંતુ આ આશા અને વાત ઠગારી નિવડી છે અને ક્રાઈમ બ્રાન્ચ, સરકાર રચિત સીટ ઉપરાંત સત્ય શોધક કમિટી દ્વારા અધિકારીઓની કોઈ જ જવાબદારી ફિક્સ કરવામાં ન આવી હોવાનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવ્યો છે.
આ જ રીતે પદાધિકારીને પણ ક્યાંય દોષિત ઠેરવ્યા નહીં હોવાની ચર્ચા રાજકોટથી લઈ અમદાવાદ-ગાંધીનગર સુધી ચાલી રહી છે.
એક વાતનો ઈનકાર કોઈ ન કરી શકે કે સરકારનો કોઈ પણ અધિકારી કે કર્મચારી ઉપર'ના આદેશ વગર કોઈ જ કામગીરી કરી શકતો નથી ત્યારે એમ.ડી.સાગઠિયા, ઈલેશ ખેર, બી.જે.ઠેબા સહિતના અધિકારીઓએ શું પોતાની રીતે બધી કાર્યવાહી કરી હશે ? આ વાત શક્ય જ નથી તે બધું જાણતી હોવા છતાં સીટ દ્વારા શા માટે ક્લિનચીટ આપવામાં આવી હશે ? હવે તો હાઈકોર્ટ ઉપર જ બધો
મદાર’ રહેશે કે તે આ રિપોર્ટનો અભ્યાસ બાદ આગળ કેવું વલણ અખત્યાર કરે છે. આ મામલાની આગામી સુનાવણી ૨૫ જૂલાઈએ થવાની છે.
…તો બદલી કરાયેલા અધિકારીઓને પોસ્ટીંગ પણ મળી જશે !
સરકાર દ્વારા તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુ.કમિશનર આનંદ પટેલ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઈની તાત્કાલિક બદલી કરી નખાઈ હતી. જો કે કોઈને પોસ્ટીંગ આપવામાં આવ્યું ન્હોતું ત્યારે હવે `સીટ’ દ્વારા આ બધાને ચોખ્ખા-ચણાંક ગણાવી દેવામાં આવ્યાની વાત છે ત્યારે હાઈકોર્ટમાં સુનાવણી થયા બાદ તમામને પોસ્ટીંગ મળી જશે તે વાતમાં પણ શંકાને કોઈ સ્થાન નથી.
જેના ઈશારે સાગઠિયા નાચ્યા તેણે જ ખેલ' પાડી દીધો જ્યારે સાગઠિયા પાસે ટાઉન પ્લાનિંગ ઑફિસરની જવાબદારી હતી ત્યારે તેના તેવર મ્યુ.કમિશનર કરતા પણ વધુ રહેતા હતા. આ પાછળ તેને મળી રહેલું પીઠબળ જ જવાબદાર હતું. સાગઠિયાને એમ જ હતું કે તેની પાછળ રહેલા
આકા’ઓ તેનો વાળ પણ વાંકો થવા દેશે નહીં પરંતુ હવે જ્યારે માથે પડી છે ત્યારે બધાએ સાગઠિયાને વધેરી' નાખ્યા છે અને પોતાની લાજ બચાવી લીધી છે ત્યારે જેના ઈશારે તે નાચ્યા તેણે જ
ખેલ’ પાડી દીધો હોવાનું સ્પષ્ટ બન્યું છે.