જેતપુરમાં એન્જિનિયર યુવકને પાડોશી શખ્સોએ ફડાકા ઝીંક્યા
જેતલસરમાં ખેડૂતને નજીવી બાબતે બે શખ્સોએ છરી મારી દીધી
જેતપુરમાં અને જેતલસરમાં બે મારામારીના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં જેતપુરમાં અમરનગર રોડ પર રહેતા એન્જિનિયર યુવકને પાડોશી શખ્સોએ જૂના ઝગડાનો ખાર રાખી ફડાકા મારી તેનો મોબાઈ તોડી નાખ્યો હતો. જે મામલે ગુનો નોંધાયો છે. અને બીજા બનાવમાં જેતલસર ગામે રહેતા ખેડૂતને ઊભા રાખવા બાબતે બે શખ્સોએ ઝગડો કરી છરી મારી દીધી હતી. જે મામલે પોલીસે બંને શખ્સોને સકંજામાં લીધા છે.
પ્રથમ બનાવની માહીતી અનુસાર જેતપુરમાં એમ.જી. રોડ કાપડ બજાર, ધોરાજી દરવાજાની અંદર રહેતો પ્રથમેશ ઘનશ્યામભાઈ શેખ (ઉ.વ.23) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સચીન યોગેશ વાઘેલા અને બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઇલેકટ્રીક એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. રાત્રીના તે તેના ઘરેથી અમરનગર રોડ પર, ખોડલધામ માર્કેટીંગની સામે આવેલ વ્રજ પાન નામની પાન-માવાની દુકાને માવો ખાવા માટે ગયો હતો.ત્યારે સચીન વાઘેલા તેનુ બાઈક લઇ ઘસી આવ્યો હતો અને યુવક સાથે જૂના ઝગડા મામલે બોલાચાલી કરી ફડાકા મારી દીધા હતા. અને તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.
બીજા બનાવમાં જેતલસર ગામમાં રહેતાં નયનભાઈ શાંતિભાઈ ભુવા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અવધ તિવારી (રહે. જેતલસર) અને યુવરાજ મોયા (રહે. જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યે તેઓ તેમના મિત્ર વિનોદભાઇ રાદડીયાના પાનના ગલ્લા પર બેઠાં હતાં તે વખતે એક સ્વિફ્ટ ગાડી ત્યાથી નીકળી હતી.જેથી યુવકે કાર ઊભી રાખી હતી. અને આરોપી કાર લઇ જતાં રહ્યા હતા. બાદમાં ફરી તેઓ કાર લઇને ઘસી આવ્યા હતા. અને કાર ઊભી કેમ રાખી તે બાબતે ઝગડો કરી આરોપીઓ છરી મારી દેતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. અને પોલીસે ગુનો નોંધ્યો છે.