એક ખૂન કર્યું છે, બીજું કરતાં વાર નહીં લાગે’ કહી લુખ્ખાનો પથ્થરમારો
બે દોકડાનો માજિદ ભાણુ પકડાયો નથી ત્યાં હવે કુખ્યાત સમીરનો પોલીસને લલકાર
સદર બજારમાં આવેલા બાલાજી એપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો તોડવા બાબતે મુસ્લિમ સમાજના અગ્રણી હબીબ કટારિયાના પરિવાર-ઘર ઉપર હુમલો
એસીપી, પીઆઈ સહિતનો કાફલો ઉતારાયો: શિવરાત્રીની શોભાયાત્રા પૂર્વે જ છમકલું થતાં ટોળેટોળાં ઉમટ્યા
રાજકોટમાં હવે તો જાણે કે લુખ્ખાઓનું જ
રાજ’ હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ટપોરીઓની રંજાડનો બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યો છે. થોડા સમય પહેલાં ભીસ્તીવાડમાં બે દોકડાના માજિદ ભાણુએ પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફ ઉપર એક નહીં બલ્કે બબ્બે વખત હુમલો કરી ખાખીને રીતસરની પડકારી હતી ત્યારે હજુ સુધી માજીદ તો પકડાયો નથી ત્યાં સમીર ઉર્ફે રાજા નામનો વધુ એક લુખ્ખો ઉભો થયો હોય તેવી રીતે સદર બજારમાં સરાજાહેર પથ્થરમારો કરીને પોલીસને લલકાર ફેંકી રહ્યો છે.

આ અંગે મુસ્લિમ સમાજના અગ્રણી હબીબભાઈ કટારિયાના ભત્રીજા અલ્તાફ ગફારભાઈ કટારિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે બુધવારે સવારે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં સદર બજાર મેઈન રોડ પર બાલાજી બિલ્ડિંગમાં રહેતા સમીર ઉર્ફે રાજા બાબાખાન પઠાણ એપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો હાથથી ખેંચીને તોડી રહ્યો હોય તેને અટકાવતાં બેફામ બનીને ગાળાગાળી કરવા લાગ્યો હતો અને દરવાજો તો હું તોડી જ નાખીશ તેમ કહી આખરે દરવાજો તોડ્યો જ હતો.આ વેળાએ અલ્તાફ અને સમીર વચ્ચે બોલાચાલી થતાં અલ્તાફના ફૈબા જરીનાબેન તેમજ કાકી અસ્માબેન ત્યાં દોડી આવતાં સમીરે તેમને પણ ગાળો ભાંડી ઝઘડો શરૂ કર્યો હતો. સમીરે મેં એક ખૂન કર્યું છે, બીજું કરતા વાર નહીં લાગે' કહીને બન્ને મહિલા પર હુમલો કરતાં બન્નેને ઈજા પહોંચી હતી.

આટલેથી ન અટકીને તેણે અલ્તાફને
તું ફુલછાબ ચોકમાં આવે એટલે તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપીને હબીબભાઈ કટારિયા જ્યાં રહે છે તે ઘર ઉપર પણ પથ્થરમારો કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ એસીપી રાધીકા ભારાઈ, પ્ર.નગર પીઆઈ પીયુષ ડોબરિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને એપાર્ટમેન્ટમાં સમીરની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તે હાથ લાગ્યો ન્હોતો. બીજી બાજુ સ્થિતિ વણસે નહીં તે માટે સદર બજારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો કેમ કે શિવરાત્રી નિમિત્તે શોભાયાત્રા પણ નીકળવાની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સમીર ઉર્ફે રાજાએ દસ વર્ષ પહેલાં રામનાથપરામાં મોહસીન તાલબ નામના યુવકની હત્યાને અંજામ આપ્યો હતો.