હરિદ્વાર- નૈનીતાલ ટુરમાં લઇ જવાનું કહી ગઠિયાએ 4.30 લાખ પડાવ્યા
છ પરિવાર પાસેથી એડવાન્સમાં પૈસા લીધા બાદ ફોન બંધ કરી સાધુ વાસવાણી રોડ પરથી ઓફિસ પણ બંધ કરી દીધી : યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં રહેતા છ પરીવારને હરિદ્વાર અને નૈનીતાલ ટુરમાં લઇ જવાનું કહી ગઠિયાએ તેમની પાસેથી એડવાન્સ પેમેન્ટના નામે રૂ.૪.૩૦ લાખ ઉઘરાવી લીધા બાદમાં ફોન બંધ કરી નાશી જતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ગઠિયાની શોધખોળ કરી છે.
વિગત મુજબ નટરાજનગરમાં કૈલાસપાર્કમાં રહેતા અને મોરબીમાં ઓફસેટ પ્રીન્ટીંગનો વ્યવસાય કરતાં હિતેન્દ્રભાઇ દેવજીભાઈ પડસુંબીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંદીપ ધીરુભાઈ મેઘાણી ઉર્ફે સંજય પટેલનું નામ આપતા જણાવ્યું હતું કે, તા.૧૫/૨/૨૦૨૪ ના સમયગાળા દરમિયાન તેમના કુટુંબીજનોએ હરીદ્રાર ફરવા જવાનો પ્લાન નક્કી કર્યો હોય,જેથી તેમણે આરોપી સંદીપ મેઘાણીનો સંપર્ક કર્યો હતો.આ સંદિપ અગાઉ તેમને વર્ષ ૨૦૧૭ માં ગણેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં ફરિયાદીના કુટુંબીજનોને નેપાળ લઈ ગયો હોય જેથી તેની સાથે પરીચય હતો.સંદીપને ટુર બાબતે જણાવતા તેણે કહ્યું હતુ કે,હું આવા જ ટુર પ્રોગ્રામ કરું છુ અને તમને બધી વ્યવસ્થા કરી આપીશ. આ સંદિપની બેઠક સાધુવાસવાણી રોડ પર રામેશ્રવર મંડપ સર્વિસ ખાતે હોય ફરિયાદી તથા તેમના સગા અહીં તેને મળવા માટે ગયા હતાં.જ્યાં તેણે હરિદ્રાર અને નૈનીતાલ ફરવા જવાનો પ્રોગ્રામ સમજાવ્યો હતો અને એક વ્યકિતના ૩૦ હજાર નક્કી કર્યા હતા. તા. ૧૫/૫ રોજ ફરવા જવાનું નક્કી કરેલ અને અમદાવાદથી ફલાઈટની ટિકિટનું સીડયુલ આપેલ હતું જેમાં રિયા હોલીડે નામની સ્લીપ આપી હતી અને બસના તથા હોટેલના ફોટા પણ મોકલ્યા હતાં.
બાદમાં ફરિયાદી સાથે કિરીટભાઈ દેવજીભાઇ પટેલ, ધર્મેશકુમાર હેમતલાલ ભીમાણી, પરેશભાઈ ચનાભાઇ દુધાગરા, અનિલ દેવજીભાઇ અઘારા અને ભરતભાઈએ મળી કુલ ૩.૧૦ લાખ આરોપીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં.બાદમાં આરોપીએ કહ્યું હતું કે, જીમ કાર્બેટ નેશનલ પાર્કમાં તથા સાઇડ સીન માટે બુકિંગ કરાવવાનું છે તેમ કહી વધુ. ૧.૨૦ લાખ જમા કરાવ્યા હતા.આમ કુલ ૪.૩૦ લાખ એડવાન્સમાં લઇ લીધા હતાં.બાદમાં આ સંજયએ ટિકિટ ન આપી મોબાઇલ કોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.જેથી અંતે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.