પાંચ વ્યાજખોરોએ વેપારી પાસે 3.81 કરોડ વ્યાજ વસૂલી મારી નાખવાની ધમકીઓ આપી
કપડાંના વેપારીને ધંધામાં પૈસાની જરૂરિયાત પડતાં 1.67 કરોડ 3 થી 5 ટકે વ્યાજ પર લીધા હતા : વ્યાજખોરોએ વધુ વ્યાજ ઉઘરાવવા વેપારીની કાર પણ પડાવી લીધી
પોલીસ લોક દરબારમાં વેપારીએ ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો
રાજ્યભરમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા ઝુંબેશ છળવી લોક દરબાર યોજવામાં આવ્યા હતા. જેમાં રાજકોટમાં યોજાયેલા લોકદરબારમાં હરીનગરમાં રહેતા કપડાના વેપારી યુવાને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો હતો. તેને રાજકોટના ચાર અને જામનગરના એક શખસ સહિત પાંચ પાસે ધંધા માટે 3 થી લઇ 5 ટકાના દરે 1.67 કરોડ વ્યાજે લીધા હતા. જેના બદલામાં 3.81 કરોડ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ પઠાણી ઉઘરાણી કરી તેની ઓફિસે આવી ઝઘડો કરી મારકુટ કરતા હોય તેમજ યુવાનની કાર પણ પડાવી લેતા આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.
મૂળ ધોરાજીના વતની અને હાલ રાજકોટમાં હરીનગર ત્રણ સન પ્લાઝા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 રૈયા ટેલીકોન એકસચેન્જ પાછળ રહેતા શ્યામ દિનેશભાઈ ભૂત (ઉ.વ 32) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિપ ટીલવા, પિયુષ ફળદુ ભરત જાગાણી જામનગરના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ વાઘેલાના નામ આપતા જણાવ્યું હતું કે, યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં તે રાજકોટ ધંધો કરવા માટે સ્થાયી થયો હતો અને તેણે શ્યામ એન્ટરપ્રાઇઝ પેઢીના નામે રેડીમેન્ટ ગારમેન્ટ રિટેલ અને હોલસેલનો વેપાર શરૂ કર્યો હતો. વેપાર માટે પૈસાની જરૂર હોય તેણે પોતાના માસીયાઈ ભાઈ દીપ ટીલવા પાસેથી વર્ષ 2016 માં 25 લાખ 3 ટકા વ્યાજ લીધા હતા, જેના બદલામાં રૂપિયા 55 લાખ મુદલ તથા વ્યાજ સહિત આપી દીધા હોય છતાં દીપ હજુ પણ વધુ રકમની માંગણી કરતો હતો.
બાદમાં વર્ષ 2017 માં ધંધાની જરૂરિયાત માટે પિયુષ ફળદુ પાસેથી રૂપિયા 27 લાખ 3 ટકા વ્યાજ પર લીધા હતા.જેને 70 લાખ ચૂકવી દીધા હોવા છતાં હજુ વધુ રૂપિયા 24.50 લાખની માંગણી કરતો હતો. બાદમાં ભરત જાગાણી પાસેથી 40 લાખ 3 ટકા વ્યાજ લીધા હતા 2019માં બીજી વખત 50 લાખ વ્યાજે લીધા હતા.જેના બદલામાં આ ભરતને 1 કરોડ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં હજુ પણ એક કરોડની માંગણી કરતો હતો. અને સિક્યુરિટી પેટે લીધેલા ચેકમાં એક કરોડ રૂપિયાની રકમ ભરી યુવાન વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી તેમજ યુવાન સાથે બોલાચાલી કરી હતી.
જામનગરના અનિરુદ્ધસિંહ જાડેજા સાથે પરિચય થયા બાદ વર્ષ 2018/19 માં તેની પાસેથી રૂપિયા 15 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા.જેના બદલામાં 53 લાખ ચૂકવી દીધા હતા છતાં હજુ વધુ 35 લાખની માંગણી કરતો અને વેપારીની ગાડી પણ પડાવી લીધી હતી. અને રાજદીપસિંહ વાઘેલા પાસેથી વર્ષ 2019 માં 40 લાખ લીધા હતા.તેની તે ઉઘરાણી કરતો અને મારી નાખવાની ધમકીઓ આપતો હતો.આમ આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1.67 કરોડ વ્યાજે લીધા બાદ જેના બદલામાં 3.81 કરોડ ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા હોવાથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી પીએસઆઇ વી.એન. બોદરે આરોપીની શોધખોળ શરૂ કરી છે.