50 લાખની સાયબર ખંડણી ચૂકવ્યા બાદ વૃદ્ધ દંપતીનો સજોડે આપઘાત
સાયબર અપરાધીઓની ધમકીથી ભાંગી પડ્યા
સાયબર છેતરપિંડી અને સાયબર અપરાધનો એક અત્યંત ભયંકર આઘાતજનક અને કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર અપરાધીઓની ધમકીઓથી ડરીને 50 લાખ રૂપિયા જેવી ખંડણી ચૂકવ્યા બાદ પણ હેરાનગતિ ચાલુ રહેતા કર્ણાટકના બેલાગાવી શહેરમાં એક વયોવૃદ્ધ દંપતિએ સજોડે આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મહારાષ્ટ્ર મંત્રાલયના ભૂતપૂર્વ કર્મચારી દિયાન્ગો નજરાત ( ઉમર વર્ષ 83 ) એ પોતાના ગળા ઉપર તીક્ષણા હથિયાર ફેરવીને અને તેમના 79 વર્ષના પત્ની પલ્યવિન નજરાતે ઝેર પી અને સજોડે આપઘાત કરી દીધો હતો.
પોલીસે પ્રારંભે તો બેવડી હત્યા થઈ હોવાનું માની તપાસ હાથ ધરી હતી પરંતુ મૃતદેહો પાસેથી મળેલી સુસાઇડ નોટમાં આ કરુણ ઘટના સાયબર અપરાધના કારણે બની હોવાનું ખુલ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી સાયબર ગુનેગારોએ આ દંપતીનો વિડીયો કોલ મારફત સંપર્ક કર્યો હતો અને તેઓ એક અપરાધમાં સામેલ હોવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. ડરી ગયેલા દંપત્તિએ એ રકમ ચૂકવી દીધી હતી. પરંતુ બાદમાં તેમને સતત ધમકીઓ મળવાનું ચાલુ રહ્યું હતું. દંપતીએ કટકે કટકે કુલ 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જો કે એ પછી પણ ધાક ધમકી ચાલુ રહેતા થાકી ગયેલા અને હિંમત હારી ગયેલા ગયેલા દંપતીએ જિંદગી ટૂંકાવી નાખી હતી. આ દંપતીને કોઈ સંતાન કે નજીકના સગા નહોતા અને એટલે તેમણે કોઈને આ અંગે વાત કરી નહોતી. પોલીસે સુસાઇડ નોટ તથા ફોન રેકોર્ડ પરથી વિશેષ તપાસ હાથ ધરી છે.