12 લાખ પડાવી લીધા છતાં વ્યાજખોરોનો મહિલાને ત્રાસ
ધોરાજીની મહિલાએ માતાની સારવાર માટે 8 પાસેથી વ્યાજે પૈસા લીધા’તા : પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો
ધોરાજીમાં બહારપુરામાં રહેતી મહિલાને કોરોના દરમિયાન માતાની સારવાર માટે રૂપિયાની જરૂર પડતાં ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધેલા 12 લાખની રકમ મુદલ સાથે વ્યાજ પણ ચુકવી દીધા છતાં આ ટોળકીએ મહિલાને ધમકાવી વધુ વ્યાજની માંગણી કરતાં મહિલાએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ, ધોરાજીનાં બહારપુરમાં રહેતા મિતલબેન મહેન્દ્રભાઈ વિજુડાએ પોતાની ફરિયાદમાં આરોપીમાં બહારપુરાના જીવણ સોંદરવા, રાજુ રાઠોડ, પ્રભા બાબુભાઈ સુણા, ગીતા ચૌધરી, સ્વાતી રાઠોડ, જયરાજ જાડેજા, સુરેન્દ્ર મકવાણા અને લક્ષ્મી સુરેશભાઈ ભાસ્કરનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમના માતાને કોરોના પોઝીટીવ આવતાં સારવાર માટે રૂપિયાની જરૂર પડતાં અને કોરોના દરમિયાન મજુરી કામ મળતું ન હોય જેથી ઘર ચલાવવા માટે રૂપિયાની જરૂર હોય જીવણ પાસેથી 30 ટકા વ્યાજે એક લાખ, રાજુભાઈ પાસેથી બે લાખ, પ્રભાબેન પાસેથી 10 ટકે 4 લાખ, ગીતાબેન ચૌધરી પાસેથી એક લાખ, જયરાજ જાડેજા પાસેથી 99 હજાર, લક્ષ્મીબેન પાસેથી 30 ટકે બે લાખ એમ કુલ 12 લાખ રૂપિયા ઉચા વ્યાજે લીધા હતાં. જેનું સમયસર મુદલ સહિત વ્યાજ ચુકવી દીધા છતાં આ ટોળકીએ વધુ વ્યાજ વસુલવા મિતલબેનને ધમકી આપતા અને ત્રાસ આપતા હોવાથી તેઓએ અંતે કંટાળી પોલીસમાં ફરિયાદ કરતાં ગુનો નોંધવામાં આવ્યો છે.