રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી બેલડી પકડાઈ
રાજકોટની 4 ઉપરાંત જામનગર,જુનાગઢ,વાંકાનેર અને હળવદની 4 મળી 8 ચોરીના ભેદ ખૂલ્યા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી રાજકોટની બેલડીને જામનગર માંથી પોલીસે પકડી પાડી હતી આ બંને શખ્સોએ રાજકોટ,જામનગર,જુનાગઢ,વાંકાનેર અને હળવદમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેમાં રાજકોટમાં ચાર ઉપરાંત અન્ય ચાર મળી 8 ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
રાજકોટના રવિ બટુકભાઈ સોલંકી અને અરવિંદ પોલાભાઈ કાંજિયા નામના બંને શખ્સો રાજકોટમાં રહીને રિક્ષા ચલાવતા હોય બંનેએ મુસાફરોને રિક્ષામાં બેસાડી રાજકોટ,જામનગર,જુનાગઢ,વાંકાનેર અને હળવદમાં 8 જેટલી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.જેમાં રવિ સોલંકી નામના રિક્ષાચાલકે જુનાગઢ અને રાજકોટમાંથી ચાર સ્થળોએ ચોરી કરી હોવાની કબુલાત આપી છે, તેમજ અરવિંદ પોલાભાઈએ રાજકોટ, વાંકાનેર અને હળવદમાં ચાર જગ્યાએ હાથ ફેરો કરી ચોરી કરી હોવાનું ખૂલ્યું હતું. જામનગરમાં ગોકુલ નગર નજીક રામનગર શેરી નંબર પાંચમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા પોલાભાઈ કરસનભાઈ અસવાર નામના 70 વર્ષના વૃધ્ધ ગોકુલ નગર થી શંકર ભગવાનના મંદિરે જવા માટે એક રિક્ષામાં બેઠા હતા ત્યારે રવિ અને અરવિંદે રૂ.1.60 લાખની સોનાની રુદ્રાક્ષ અને તુલસીની સોનાની કંઠી ની ચોરી કરી લીધી.
આ ચોરીનો ભેદ સીટી સી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યા હતો. જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ના સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે જીજે-3 બી.યુ. 1447 નંબરની ઓટો રીક્ષા હોવાનું ખૂલ્યું હતું જેના આધારે બંને શખ્સોને સમર્પણ સર્કલ પાસેથી ઝડપી લીધા હતા.