અંકલેશ્વરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 3નાં મોત : ચાર ઘાયલ
અજમેરમાં ઉર્સ ઊજવી પરિવાર મુંબઈ જતો હતો ત્યારે સર્જાયો ગોઝારો અકસ્માત : કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા આગળ જતાં ટ્રક સાથે અથડાઈ અને બૂકડો બોલી ગયો
ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતાં બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ અથડાઈ હતી. અને કારમાં બેઠેલા ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.જયારે ચાલ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કારમાં સવાર પરિવાર અજમેરમાં ઉર્સની ઉજવણી કરીને પરત મુંબઇના પાલઘર ખાતે જતા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
વિગત મુજબ મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્સની ઉજવણી માટે 6 જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્સની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો. ત્યારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આ પરિવારની અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં અર્ટિગા કારનો બૂકડો બોલી ગયો હતો અને પરિવારના 7 સભ્યોમાંથી 3ના ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટનાને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પાનોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.