જુગાર ક્લબમાં પોલીસની મીલીભગતનો પર્દાફાશ !!
- પિતા-પુત્રનો હત્યારો મહેન્દ્રસિંહ ૪૫ હજાર લઈ રોજ ૩ બોર્ડ બેસાડતો !
માણેકવાડા ગામે એ પાડેલા દરોડા બાદ ક્લબ સંચાલક મહેન્દ્રસિંહ જાડેજાનો ફોન ચેક કરવામાં આવતાં તેમાં કોટડા
સાંગાણી પોલીસ મથકના અજયસિંહ, એલસીબીના મહિપાલસિંહ સાથે વારંવાર `વૉટસએપ કોલ’ થયા હોવાનો
ધડાકો: ૧૦ ડિસેમ્બરથી જુગારક્લબ શરૂ કરી’તી જે બપોરે ૨:૩૦ વાગ્યે શરૂ થઈ રાત્રે ૧૨ વાગ્યા સુધી બેરોકટોક ધમધમતી
સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટ જિલ્લાના માણેકવાડા ગામે ફાર્મ હાઉસમાં દરોડો પાડી રાજકોટ શહેર સહિત આખા સૌરાષ્ટ્રમાંથી જુગાર રમવા આવતા ૧૮ જુગારીઓને દબોચી લીધા હતા. દરોડા વખતે જ ક્લબનો સંચાલક મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા ઝડપાઈ જતાં તેની પૂછપરછમાં અનેક મહત્ત્વના ખુલાસા થયા છે. તપાસમાં એવો ધડાકો થયો છે કે આ જુગારક્લબ સાથે સ્થાનિક પોલીસની મીલીભગત હતી તેના કારણે જ ૧૦ ડિસેમ્બરથી ૧૭ જાન્યુઆરી સુધીના ૩૮ દિવસ સુધી ક્લબ બેરોટોકટોકપણે ધમધમી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ડીજીપી વિકાસ સહાય, સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જી.ખાંટ સહિતના સ્ટાફે માણેકવાડા ગામે જુગાર ક્લબ પર દરોડો પાડી ૧૫ લાખની રોકડ, ૭૭ લાખના વાહન સહિત ૯૪.૩૩ લાખના મુદ્દામાલ સાથે ૧૮ જુગારીઓને પકડી લીધા હતા. આ પછી ક્લબ સંચાલક મહેન્દ્રસિંહ જાડેજા મળી આવતાં તેની ફોનની તલાશી લેવામાં આવી હતી જેમાં વોટસએપ કોલ લોગ જોતાં તેમાં વારંવાર ફોન થયા હોવાનું સામે આવ્યું હતું.
આ નંબર વિશે મહેન્દ્રસિંહને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે એક નંબર અજયસિંહ કે જે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે તેમજ બીજો નંબર મહિપાલસિંહ કે જે એલસીબીમાં ફરજ બજાવી રહ્યો છે તેનો છે. આ પછી એસએમસીએ વોટસએપ કોલ લોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
મહેન્દ્રસિંહે એમ પણ જણાવ્યું કે તેણે આ જુગાર ક્લબ ૧૦ ડિસેમ્બરથી શરૂ કરી હતી અને દરરોજ બપોરે ૨:૩૦ વાગ્યાથી લઈ રાત્રે ૧૨ વાગ્યા સુધી જુગાર રમાડતો હતો. તે દરરોજ ત્રણ બોર્ડ બેસાડતો અને તે પ્રમાણે પ્રત્યેક બોર્ડના ૧૫ હજાર રૂપિયા જુગારીઓ પાસેથી વસૂલતો હતો. આ રીતે જુગાર ક્લબમાં દરરોજ ૩૦ લોકો આવતા હોવાનું જાણવા મળ્યું છે મતલબ કે દરરોજના ૪૫ હજાર લેખે ગણીએ તો અત્યાર સુધીમાં તેણે ૧૭ લાખથી વધુની નાલ ઉઘરાવી લીધાનું પ્રારંભીક તપાસમાં લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્લબ સંચાલક મહેન્દ્રસિંહ જાડેજા ઉપર તેના પિતા અને પુત્રની હત્યા કર્યાનો ગુનો પણ નોંધાયેલો છે.
ચોપડામાં દરરોજનો હિસાબ-કિતાબ લખાતો !
સ્ટેટ મોનિટરિંગ સેલે ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબમાંથી એક ચોપડો કબજે કર્યો છે જેમાં તારીખ, વાર, દિવસ, રાત, નામ, રકમ જમા સહિતનું લખાણ લખવામાં આવ્યું છે. આ ઉપરાંત કોને કેટલા રૂપિયા આપ્યા, કોણે કેટલા રૂપિયા ચૂકવ્યા તે સહિતનું લખાણ હોય તેના આધારે પણ તપાસ ચાલી રહી છે.
જુગારીઓને ફાઈવસ્ટાર' સુવિધા અપાતી
સ્ટેટ મોનિટરિંગ સેલે જ્યાં દરોડો પાડ્યો તે ફાર્મહાઉસમાં જુગારીઓને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની ફાઈવસ્ટાર કક્ષાની સુવિધા અપાતી જેમાં બેસવા માટે ગાલીચો, ગરમી ન થાય તે માટે એ.સી., કોલ્ડ્રીંક્સ પીવાની ઈચ્છા થાય તો તેમાં ફ્રીઝ સહિતની સવલત હતી. આ ઉપરાંત સ્થળ પરથી દારૂ પકડાયો છે તે મહેન્દ્રસિંહ પીવા માટે લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે.
ઈન્ક્વાયરીના આદેશ આપ્યા છે: એસપી આ અંગે રૂરલ એસપી
જયપાલસિંહ રાઠોડનો સંપર્ક સાધવામાં આવતા તેમણે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જુગાર ક્લબ પકડાયા બાદ તેમાં સ્થાનિક પોલીસની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગેની ખરાઈ કરવા માટે તપાસના આદેશ આપ્યા છે. જો તેમાં કોઈની સંડોવણી ખુલશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.