પ્રથમ વન ડે માં સાઉથ આફ્રિકા સામે ભારતનો 8 વિકેટે શાનદાર વિજય, સાંઈ સુદર્શન અને શ્રેયસ ઐયરની 50
ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકામાં પણ ઝળકી ઉઠી છે અને ટી-20 સીરિઝ સરભર કર્યા બાદ વન-ડે શ્રેણીના પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ આફ્રિકના બેટરોને ધૂણાવ્યાં હતા અને ભારતનો આફ્રિકા સામે 8 વિકેટથી શાનદાર વિજય થયો હતો. સાઈ સુદર્શન અને શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી હતી.
આફ્રિકાએ ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું પરંતુ આ જુગાર એમના માટે ઘાતક નિવડ્યો હતો અને ફક્ત 27.3 ઓવરમાં આખી ટીમ 116 રનના જુમલા પર તંબુ ભેગી થઈ ગઈ હતી. આફ્રિકા વતી ફક્ત બે બેટરો સારું રમ્યા હતા. જેમાં ફેલુકવાયોએ અંગત 33 રન કર્યા હતા અને જોરઝીએ અંગત 28 રન કર્યા હતા. ત્રણ બેટરો ઝીરોમાં આઉટ થયા હતા. ભારતને જીત માટે 117 રનનો ટાર્ગેટ અપાયો હતો જે માત્ર 17 ઓવરમાં જ પૂરો થઈ ગયો હતો. સુદર્શને 43 બોલમાં અંગત 55 રન કર્યા હતા અને શ્રેયસ ઐયરે 45 બોલમાં 52 રન ફટકાર્યા હતા. અર્શદીપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત વતી અર્શદીપ અને આવેશ ખાને ઘાતક બોલિંગ કરી હતી. જેમની સામે આફ્રિકાના બેટરો શરણે થઈ ગયા હતા. અર્શદીપે 5 અને આવેશે 4 શિકાર કર્યા હતા. કુલદીપ યાદવને પણ 1 વિકેટ મળી હતી.