રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો : સુપ્રીમ કોર્ટે 7 દિવસનો સ્ટે પરત ખેંચ્યો, આજે રાત્રે કરવું પડશે સરેન્ડર!
અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલો સ્ટે પરત ખેંચવામાં આવ્યો છે. રીબડાના વતની અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા પૂર્વધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાના 1988ના હત્યા કેસમાં અંતે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હાજર થવાના 18 સપ્ટેમ્બરના આખરી દિવસે આખરી કલાકોમાં જૂનાગઢ જેલમાં હાજર થવા અંગે ભારે સસ્પેન્સ સાથે મોડી સાંજે સ્ટે મળતાં હાલ અનિરુદ્ધસિંહને એક સપ્તાહ સુધીની રાહત મળી હતી ત્યારે હવે અનિરુદ્ધ સિંહને આપેલી રાહત પરત ખેંચવામાં આવી છે આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં હાજર થવું પડશે.
પોપટભાઈ સોરઠિયાની ધ્વજવંદન કાર્યક્રમમાં હત્યા
ગોંડલના જે તે વખતના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા અને અનિરૂધ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજા વચ્ચે રાજકીય ખટરાગ ચાલતો હતો જેને લઈને 22 વર્ષની વયે અનિરૂધ્ધસિંહ જાડેજાએ ગોંડલની સંગ્રામસિહજી હાઈસ્કૂલમાં 15 ઓગસ્ટ-1988ના રોજ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાને ધ્વજવંદન કાર્યક્રમમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ભડાકે દઈને હત્યા કરી હતી. જે તે સમયે જ ત્યાં હાજર એસઆરપીના ઝાલા તથા સ્ટાફે અનિરૂધ્ધસિંહને પકડી પાડ્યા હતા. હત્યાના ગુનાના આરોપમાં ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી.
કેસ ચાલી જતાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરૂધ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરતો ચૂકાદો આપ્યો હતો. જે ચૂકાદા સામે સરકારે ટાડા હેઠળ અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે 1997માં અનિરૂધ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી. આજીવન કેદ પડતા અનિરૂધ્ધસિંહ ત્રણ વર્ષ ફરાર રહ્યા હતા બાદ 2000માં ધરપકડ થઈ હતી. 18 વર્ષ જેલમાં રહ્યા બાદ 2017માં સરકાર દ્વારા 12 વર્ષ પૂર્ણ થયા હોય તેવા આજીવન સજાના કેદીને સજા માફી આપવાની કમિટી બની હતી. જૂનાગઢ જેલમાં બંધ અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા 29-1-18ના રોજ સજા માફી માટે જેલ સત્તાવાહક મારફતે રજી કરાઈ હતી. જે અરજી આધારે જે તે સમયના જેલ વડા ટી.એસ. બીસ્ટ દ્વારા અનિરૂધ્ધસિંહની સજા માફીની અપીલ માન્ય રાખીને જેલ મુક્ત કર્યા હતા.
પોપટભાઈના પૌત્રએ સજા માફી રદ કરવા હાઈકોર્ટમાં કરી અપીલ
અનિરૂધ્ધસિંહ જેલ મુક્ત થયા એ સંદર્ભે સરકારની સહમતિ હોય અથવા તો સાત વર્ષ સુધી ધ્યાનચૂક રહી ગઈ હોય તેમ સાત વર્ષ સુધી ન્હોતો સરકારે કોઈ કાર્યવાહી કરી હતી કે ન્હોતી છ વર્ષ સુધી મૃતક પોપટભાઈના કોઈ પુત્ર પરિવાર દ્વારા કાર્યવાહી થઈ ન્હોતી. ગત વર્ષે 2024માં પોપટભાઈના પૌત્ર હરેશ સોરઠિયાએ સજા માફી રદ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી જે બન્ને પક્ષે સુનાવણી, રજૂઆતો સહિતના દસ્તાવેજી પુરાવાઓ બાદ ગત મહિને 22 ઓગસ્ટના હાઈકોર્ટે અનિરૂધ્ધસિંહની સજા માફી રદ કરી હતી અને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવા આદેશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે 7 દિવસનો સ્ટે પરત ખેંચ્યો
હાઈકોર્ટના હુકમ સામે અનિરૂધ્ધસિંહ તરફે સુપ્રીમ કોર્ટમાં 29 ઓગસ્ટના રોજ સ્પે. લીવ પિટિશન કરાઈ હતી. બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો હુકમ યથાવત રાખી અનિરૂધ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા હુકમ કર્યો હતો. જેની સામે અનિરુદ્ધસિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોતાના એડવોકેટ મારફતે પિટિશન કરાઈ હતી. જે બાદ ગઇકાલે સુપ્રીમ કોર્ટે તેમને 7 દિવસની રાહત આપી હતી ત્યારે આજે એ રાહત પાછી ખેંચી લીધી છે અને આજે રાત્રે 8 વાગ્યા સુધી હાજર થવાનો આદેશ આપ્યો છે. સુરક્ષા માટે મળેલી સ્થગિતી (સ્ટે) સુપ્રીમ કોર્ટે પાછી લઈ લેતાં અનિરુદ્ધસિંહ હવે સીધા કાનૂની ચક્રવ્યૂહમાં ફસાયા છે.
