રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
લાખો લોકોની આસ્થા જેમનામાં રહેલી છે તે રાજકોટ શહેરના વર્ષો જૂના પૌરાણિક અને પવિત્ર સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે એક પણ ભાવિકને નાની અમથી મુશ્કેલી પણ ન પડે તે પ્રકારે વ્યવસ્થા તેમજ કામગીરી કરવા પદાધિકારીઓએ અલગ-અલગ શાખાના અધિકારીઓને સુચના આપી હતી. એકંદરે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો હોય તેમજ ચોમાસાને ધ્યાનમાં રાખી મંદિર તેમજ આસપાસના વિસ્તારને ચોખ્ખોચણાંક રાખવા ખાસ આદેશ કરાયો હતો.
આ પણ વાંચો : વન નેશન વન ઇલેક્શનની તૈયારી તરફ આગેકૂચ : રાજકોટ સહિત રાજ્યના 91 BLOને દિલ્હીમાં બે દિવસની તાલીમ

મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડ મનિષભાઈ રાડિયા, વોર્ડ નં.૭ના કોર્પોરેટરો દેવાંગ માંકડ સહિતનાએ ડિસેમ્બર-2023 બાદ છ મહિના બાદ ફરી આ મંદિરની મુલાકાત લીધી હતી. આ વેળાએ જવાબદાર અધિકારીઓને પણ હાજરરાખીને તેમને મંદિર તેમજ આસપાસના વિસ્તારની સઘન સફાઈ કરાવવા, એક મહિનાની અંદર મંદિર પાસે તૈયાર કરાયેલા પાર્કિંગનું કામ પૂર્ણ કરવા, આજી નદીમાં રહેલી ગાંડી વેલ દૂર કરવા સહિતના આદેશ આપ્યા હતા.
