ભારત-પાકિસ્તાન હવે ક્યારેય એકબીજા સામે નહીં રમે ? સિંગાપુરમાં મળનારી ICCની બેઠકમાં લેવાશે નિર્ણય
ભારત-પાકિસ્તાન વચ્ચે આમ તો ઘણા વર્ષોથી દ્વિપક્ષીય શ્રેણી રમાતી નથી. જો કે બન્ને દેશ એશિયા કપ અને આઈસીસીની ટૂર્નામેન્ટમાં એકબીજા સામે રમતા હતા પરંતુ પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ બન્ને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. હવે બન્ને દેશ વચ્ચે રમાનારી ક્રિકેટ મેચ હંમેશા માટે બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હવે આ બન્ને દેશ આઈસીસી આયોજિત ટૂર્નામેન્ટમાં પણ એકબીજા સામે નહીં રમે. આ અંગે ટૂંક સમયમાં આઈસીસીના વાર્ષિક સંમેલનમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે આઈસીસી ટૂર્નામેન્ટ દરમિયાન નોકઆઉટ મુકાબલામાં પણ ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે મુકાબલો થવાની શક્યતા બહુ ઓછી છે. એકંદરે 17થી 20 જૂલાઈ વચ્ચે સિંગાપુરમાં આઈસીસીની મળનારી બેઠકમાં ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં રાખવા અંગે ચર્ચા કરવામાં આવી શકે છે અને ત્યારે જ નિર્ણય પણ લેવાઈ જશે. જો આમ થયું તો ભારત-પાકિસ્તાન ક્યારેય એકબીજા સામે રમશે નહીં જે એક મોટો નિર્ણય ગણાશે કેમ કે બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી તો રમાઈ જ રહી નથી અને હવે ભારત એશિયા કપમાંથી પણ હટી જાય તેવી શક્યતા છે ત્યારે આઈસીસી ટૂર્નામેન્ટમાં પણ બન્નેને અલગ-અલગ રાખવામાં આવશે ત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ સંપૂર્ણપણે બંધ થઈ જશે.