શેખ હસીના સામે બાંગ્લાદેશ દ્વારા શું થઈ રહી છે કાર્યવાહી ? જુઓ
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી શકે છે. બાંગ્લાદેશની પોલીસ શેખ હસીના સામે કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશ પોલીસના નેશનલ સેન્ટ્રલ બ્યુરોએ ઈન્ટરપોલને 12 લોકો સામે રેડ કોર્નર નોટિસ આપવા વિનંતી કરી છે. આ યાદીમાં પદભ્રષ્ટ વડાંપ્રધાન શેખ હસીનાનું નામ પણ સામેલ છે.
મળતી માહિતી મુજબ, 77 વર્ષીય શેખ હસીના ગયા વર્ષે 5 ઓગસ્ટથી ભારતમાં રહે છે. રાજધાની ઢાકામાં થયેલા હિંસક વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીના બાંગ્લાદેશથી ભાગી ભારત આવી પહોંચ્યા હતા. આ ચળવળથી તેમના પક્ષ અવામી લીગના 16 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.
અહેવાલ અનુસાર, એનસીડબ્લ્યુ આવી અરજીઓ પર કોર્ટ, સરકારી વકીલ અથવા તપાસ એજન્સીઓની અપીલના આધારે કાર્યવાહી કરે છે. પોલીસના હેડક્વાર્ટરમાં સહાયક પોલીસ મહાનિરીક્ષક (મીડિયા) એનામુલ હક સાગરે જણાવ્યું હતું કે, “આ અરજીઓ તપાસ દરમિયાન અથવા કોઈપણ ચાલુ કેસની કાર્યવાહીમાં ઉદ્ભવતા આરોપોના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે.”
આમ શેખ હસીનાને ગમે તેમ કરીને ભારતથી બાંગ્લાદેશ લઈ જવા માટે ધમપછાડા થઈ રહ્યા છે . આ પહેલા પણ ત્યાંનાં તંત્ર દ્વારા શેખ હસીનાને અમારા હવાલે કરી દેવાની ભારતને અપીલ કરી હતી. જો કે ભારતે તેમ કર્યું નથી.