સુરતમાં ગોઝારો અકસ્માત : બે બાઈકને અડફટે લઈ કાર પલટી જતાં સગા ભાઈ-બહેન સહિત ત્રણ લોકોના નિપજ્યાં મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના લસકાણા ચાર રસ્તા પાસે પૂરપાટ હંકારતા કારચાલકે વારાફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સગા બે ભાઈ-બેન સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. ત્યારે બનાવસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને કાર ચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેમની બહેન શોભા રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક મહેશભાઈ નાનજીભાઈ લાઠીયા (ઉ.વ.48 રહે. માતૃ શક્તિ સોસાયટી, પુણાગામ) ને પણ એડફેટે લીધા હતા. બાદમાં કાર પલટી ખાઇ જઇ ડિવાઇડર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રાજેશ અને મહેશભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે વારાફરતી બંનેને મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજા પામેલી રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું આજે સોમવારે ટૂંકી સારવાર મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક અર્જુન વિરાણી (ઉ.વ.34, રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા)ને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસે સોપ્યો હતો. કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરે છે. આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક રાજેશભાઇ મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની હતા. તે તેની બહેન શોભા સાથે કામરેજથી મોટા વરાછા જતા હતા. તે સમયે અકસ્માત નડ્યો હતો. રાજેશને એક ભાઈ અને એક બહેન છે. તે ડાયમંડ નગર ખાતે જોબવર્કનું કામ કરતા હતા.
જ્યારે મૃતક મહેશભાઈ મૂળ ભાવનગરના બગદાણાના વતની હતા અને રવિવારે સાંજે લસકાણા ડાયમંડ નગર ખાતે ખાતામાંથી બાઈક પર ઘરે જતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તે ટેક્સટાઇલ માર્કેટમાં જોબવર્ક કામ સાથે સંકળાયેલા હતા.