ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર સાંજે ૭ વાગ્યાથી ટી-૨૦ મુકાબલો રમાવાનો છે. પાંચ મેચની શ્રેણીના પ્રથમ બે મુકાબલા જીતીને ટીમ ઈન્ડિયા ૨-૦થી આગળ છે ત્યારે આજની મેચ જીતીને નવા વર્ષની પહેલી શ્રેણી કબજે કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. બીજી બાજુ ટીમ ઈંગ્લેન્ડ રાજકોટનો મુકાબલો જીતીને શ્રેણીમાં ટકી રહેવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈંગ્લેન્ડ ટીમનું રાજકોટમાં `ડેબ્યુ’ થવાનું છે મતલબ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ રાજકોટમાં ટેસ્ટ અને વન-ડે મેચ રમી ચૂકી છે પરંતુ ટી-૨૦ મુકાબલો ક્યારેય રમ્યું નથી.
બીજી બાજુ ૨૦૨૩માં રાજકોટમાં શ્રીલંકા સામે ટી-૨૦ રમવા ભારતીય ટીમ ઉતરી હતી તેમાંથી માત્ર ચાર ખેલાડી હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ અને અર્શદીપ સિંહ જ આ વખતે ઈંગ્લેન્ડ સામે ઉતરનારી ટીમમાં સામેલ છે બાકીના તમામ ખેલાડીઓ અહીં પહેલી વખત આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મુકાબલો રમશે.

ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તીલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ
ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન
જોશ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકિપર), બેન ડકેટ, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, જૈમી સ્મિથ, જૈમી ઓવર્ટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશિદ, માર્ક વૂડ
મેચની તમામ ૨૮,૦૦૦ ટિકિટ વેચાઈ ગઈ !
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ મુકાબલો સ્ટેડિયમમાં બેસી નિહાળવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો આતૂર જ છે તે વાત સાબિત થઈ ચૂકી છે કેમ કે થોડા જ દિવસમાં મેચની તમામ ૨૮,૦૦૦ ટિકિટ વેચાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવવાનો પ્રયત્ન કરનાર તમામ લોકોને `સોલ્ડ આઉટ’ જ પ્રદર્શિત થઈ રહ્યું હતું.
