રાજકોટમાં 23,36 વર્ષીય યુવક અને 28 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે વધુ ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થતાં અરેરાટી મચી જવા પામી છે.જેમાં ઉમિયા ચોક પાસે રહેતા 28 વર્ષીય મહિલા,નાનામવા પાસે રહેતા 23 વર્ષીય અને કોઠારીયા ગામે રહેતા 36 વર્ષીય યુવકનું હૃદય રોગના હુમલાથી મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પ્રથમ બનાવની વિગત મુજબ 150 ફૂટ રિંગ રોડ,ઉમિયા ચોક પાસે હિમાલય સોસાયટીમાં રહેતા અવધિબેન નારણભાઈ જેઠવા નામના 28 વર્ષીય પરિણીતા સવારે આઠ વાગ્યે પોતાના ઘરે બેઠા હતા ત્યારે તેણી અચાનક બેભાન થઈ ઢળી પડતાં પરિવાર દ્વારા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.અહી ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કરી હૃદય રોગનો હુમલો આવ્યાનું જણાવ્યું હતું.આ મામલે માલવિયા નગર પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતકના લગ્નને સાત વર્ષ થયા હતા.અને તેનોને કોઈ સંતાન નથી.બનાવથી પરિવાર શોકમાં ગરક થયો છે.બીજા બનાવની વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર ન્યુ ગાંધીનગર સોસાયટીમાં રહેતા અભિભાઈ હરેશભાઈ ઝાલાવડિયા નામનો 23 વર્ષીય યુવક સવારે દશેક વાગ્યે બાથરૂમમાં હતો.ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઈ ઢળી પડ્યો હતો.જેથી પરિવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.પરંતુ ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યો હતો.મૃતક અભિ અપરણિત હતો.તેમજ પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.આ મામલે તાલુકા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ત્રીજા બનાવમાં કોઠારીયા ગામ પાસે ગોપાલ હેરિટેજ સોસાયટી શેરી નંબર-1માં રહેતા નરેન્દ્રભાઈ જીવરાજભાઈ વઘાસિયા (ઉ.વ.36) સવારે 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા.ત્યારે છાતીમાં દુખાવો ઊપડતાં તેઓ બેભાન થઈ ગયા હતા.બનાવની જાણ 108ને થતાં સ્ટાફ દોડી આવ્યો હતો.અને નરેન્દ્રભાઈ ને મૃત જાહેર કરી હૃદય રોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક તારણ આપ્યું હતું.આજીડેમ પોલીસ દ્વારા તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે,મૃતક એક ભાઈમાં નાના અને અપરણિત હતા તેમજ મજૂરી કામ કરતાં હતા.