દસ વર્ષ પહેલાના દલિત અત્યાચારકેસમાં 98 આરોપીઓને જનમટીપ
કર્ણાટકમાં 2014માં દલિત સમુદાયની કોલોની પર હુમલો કરવાના ગુનામાં કોપપ્લ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક એન્ડ સેશન કોર્ટ દ્વારા 98 આરોપીઓને દોષિત માની જનમટીપ તેમજ 5000 રૂપિયા ના દંડની સજા ફરમાવવામાં આવી હતી. દલિતો પરના અત્યાચારના કેસમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે. આ કેસમાં કુલ 117 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમાંથી 11 આરોપીઓ મૃત્યુ પામ્યા છે. આદિજાતિના ત્રણ આરોપીઓને અદાલતે પાંચ વર્ષની સજા અને 2000 રૂપિયા નો દંડ ફટકાર્યો હતો. બે સગીર આરોપીઓના કેસની સુનાવણી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ કરવામાં આવી હતી.
બનાવવાની વિગત એવી છે કે 27 ઓગસ્ટ 2014 ના રોજ ઉચવર્ણનો મંજુનાથ નામનો શખ્સ તેના મિત્રો સાથે ગંગામથી નામના ગામમાં ફિલ્મ જોવા ગયો ત્યારે તેને કેટલાક અજાણ્યા શખ્સો સાથે મારામારી થઈ હતી. બાદમાં બીજા દિવસે 28 ઓગસ્ટના રોજ સવારે ચાર વાગ્યે મારાકુમ્બા ગામમાં આવેલ મદિગા સમુદાયની કોલોની પર સશસ્ત્ર હુમલો કરી તેમના મકાનો ઝૂંપડા અને દુકાનો સળગાવી દેવામાં આવ્યા હતા. આ બારામાં પોલીસે 117 લોકો સામે ગુનો નોંધ્યો હતો.અદાલતે ચુકાદામાં આ ગામમાં દલિતો અને સવારનો વચ્ચે અથડામણની એ અગાઉ પણ અનેક ઘટનાઓ બની હોવાનો ઉલ્લેખ કર્યો હતો.