આર.કે યુનિવર્સિટીના વિદ્યાર્થીનું કારમાં અપહરણ કરી દોઢ લાખની ખંડણી મંગાઈ
એક માસ પૂર્વે અકસ્માત થતાં ઝગડો થયો તેનું સમાધાન કરવા બોલાવી પાંચ શખ્સો સ્કોર્પિયો કારમાં અપહરણ કરી ગયા : જંગલેશ્વરમાં લઇ જઈ મારમારી દોઢ લાખ હાથ ઉછીના લીધા છે તેવો વિડીયો બનાવડાવ્યો : યુવકની કારમાં પણ 25 હજારનું નુકશાન કર્યું
રાજકોટનાં ભાવનગર હાઈ-વે પર આવેલ આર.કે.યુનિવર્સિટીમાં બી.એસ.સી.માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં અને ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગરમાં રહેતા વિદ્યાર્થીને અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન કરવા બોલાવી પાંચ શખ્સો તેનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરી ગયા હતા.અને દોઢ લાખની ખંડણી માંગી હતી.ઉપરાંત તેને જંગલેશ્વરમાં લઇ જઈ મારમારી દોઢ લાખ ઉછીના લીધા છે તે પરત આપવાના છે.તેવો વિડીયો બનાવી લીધો હતો.અને યુવકની કારમાં રૂ.25 હજારનું નુકશાન કર્યું હતું. વિદ્યાર્થી ખંડણીના પૈસા દેવા માટે રાજી થતાં તેને અમુક સર્કલ પાસે મૂકત કરી દીધો હતો.અને આજીડેમ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ, ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગર શેરી નં.3માં રહેતા અને આર.કે.યુનિવિર્સટી રાજકોટ ખાતે બી.એસ.સી.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં કૃણાલ માનસિંગ વાઢેર (ઉ.19)એ જંગલેશ્વરના મુસ્તાક તથા વત્સલ જીતુ વેકરીયા, ગૌતમ અને મંગલ પરમાર તથા એક અજાણ્યા શખ્સ એમ પાંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેને જણાવ્યું હતું કે, આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો કૃણાલનો મિત્ર ધ્રુવીલ પરમારને આર.કે.યુનિવર્સિટીનાં છાત્ર સિબ્તેન હેરજાના મિત્ર સાથે એકસીડેન્ટ થયું હોય જે વખતેના સમાધાનમાં ધ્રુવીલ પરમાર તરફે કૃણાલ અને સામાપક્ષે સિબ્તેન હેરજા મળ્યા હતાં અને સમાધાન થયું હતું. આ ઘટના બાદ એક મહિના પછી સોમવાર બપોરે કૃણાલ અટીકા કાર નં.જીજે.3.એમ.એચ.5148 લઈને ગોંડલથી તેના રાજકોટ રહેતા મિત્ર પ્રિયાંશુ રાઠોડ સાથે આર.કે.યુનિવર્સિટીએ આવ્યો હતો ત્યારે મુસ્તાક અને વત્સલ, ગૌતમ, મંગલ અને અજાણ્યા શખ્સે કૃણાલની અર્ટીકાની ચાવી તેના મિત્ર પાસે હતી તે પડાવી લીધી હતી.જેથી પ્રિયાંશુ અને કૃણાલ ચાવી લેવા અને જૂના ઝગડાનું સમાધાન કરવા માટે આર.કે.યુનિવર્સિટીના ગેઈટ પાસે ગયા ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા મુસ્તાક સહિતના શખ્સોએ કૃણાલને ધરાર સ્કોર્પિયો કારમાં બેસાડી દીધો હતો. અને જો સમાધાન કરવું હોય તો 1.50 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું.જેથી કૃણાલે પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતા આરોપીઓ કારને ત્યાંથી ચલાવીને દૂર લઇ ગયા હતા.
બીજી બાજુ કૃણાલના અપહરણ અંગેની જાણ તેના બનેવી તથા ફૈબાના પુત્રને થતાં તેનો ફોન ઉપર સંપર્ક કર્યો ત્યારે મુસ્તાક સહિતના શખ્સોએ તેને ધમકાવીને અપહરણ નહીં થયાનું ફોન ઉપર વાત કરી હતી.અને કારમાં બેસાડીને તેને જંગલેશ્વરમાં લઇ ગયા હતા.જ્યાં આરોપીઓએ કુણાલને ઢોર માર માર્યો હતો.અને પોતે મુસ્તાક પાસેથી દોઢ લાખ ઉછીના લીધા છે.જે આપી દેશે તેવો મોબાઈલમાં વિડીયો પણ ઉતારી લીધો હતો.અને તેના મોબાઈલમાંથી એક નંબર પર 200 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી લીધા હતા.કુણાલ દોઢ લાખ આપવા માટે રાજી થતાં તેને અમૂલ સર્કલ પાસે આરોપીઓએ ઉતારી દીધો હતો.અને તેની કાર પણ પરત આપી હતી.જેમાં આરોપીઓએ 25 હજારનું નુકશાન કરી નાખ્યું હતું.આ સમગ્ર ઘટનાની જાણ કૃણાલે આજીડેમ પોલીસને કરતાં પોલીસે ગુનો નોંધી તમામની શોધખોળ કરી છે.