આજથી રાજકોટ શહેરના રેશનકાર્ડ ધારકોને સીંગતેલ મળશે
ઓઇલ મિલર સીંગતેલનો જથ્થો પૂરો પાડવામાં હાંફી રહ્યો, 12 તારીખ વીતવા છતાં પ્રજાને તેલ ન મળ્યું
રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી તહેવાર નિમિતે ગરીબ રાશનકાર્ડ ધારકોને રાહતભાવે એક લીટર સીંગતેલ અને વધારાની ખાંડ આપવાની જાહેરાત કર્યા બાદ સપ્લાયર કોન્ટ્રાકટર ઓઇલ મિલર સીંગતેલનો જથ્થો પૂરો પાડી ન શકતા 12 ઓગસ્ટ વીતવા છતાં રાજકોટ શહેરના ગરીબ રેશનકાર્ડ ધારકોને સીંગતેલ મળ્યું ન હતું. બીજી તરફ હવે આજથી ઓઇલમિલર રાજકોટ માટે તેલનો જથ્થો સપ્લાય કરનાર હોવાથી આજથી જ રેશનકાર્ડ ધારકોને સીંગતેલ મળતું થશે તેમ પુરવઠા ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું.
રાજકોટ સહિત રાજ્યભરના ગરીબ રેશનકાર્ડ ધારકોને સાતમ -આઠમના તહેવારને અનુલક્ષીને રાજ્ય સરકારે રાહતભાવે 1 લીટર સીંગતેલ અને વધારાની ખાંડ આપવાનું જાહેર કર્યા બાદ પુરવઠા ગોડાઉન સુધી સીંગતેલનો જથ્થો જ ન પહોંચતા રાબેતા મુજબના ઘઉં અને ચોખાનું સસ્તા અનાજની તમામ દુકાનોએ વિતરણ શરૂ થતા જ લોકોએ સરકારની જાહેરાત મુજબ ખાંડ-તેલ કેમ નથી આપવામાં આવતું તેમ કહી ઉહાપોહ મચાવતા સસ્તા અનાજના વિક્રેતાઓની વાટ લાગી જવા પામી છે અને અને ગોડાઉનમાં સીંગતેલનો જથ્થો જ ઉપલબ્ધ ન હોવાથી પરવાનેદારો પણ મુસીબતમાં મુકાયા છે.
બીજી તરફ રાજકોટ જિલ્લા પુરવઠા ગોડાઉન મેનેજર ચિરાગ વાછાણીનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, ગોંડલની શ્રેયા પ્રોટીન નામની પેઢીમાંથી ગોંડલ, જામકંડોરણા, રાજકોટ તાલુકા સહિતના વિસ્તાર માટે સીંગતેલ સપ્લાય કરવામાં આવ્યું છે અને હવે આજે રાજકોટ માટે પણ સીંગતેલનો અંદાજિત 5500 કાર્ટૂન જથ્થો ઉપલબ્ધ થશે અને આજથી જ વિતરણ શરૂ થાય તે દિશામાં પગલાં લેવાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
