હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો:રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે 1 જુલાઈથી ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે
રાજકોટમાં નવુ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ કાર્યરત થાય તે પહેલાં હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં આગામી 1લી જુલાઈથી રાજકોટ-ઉદયપુર અને રાજકોટ-ઈન્દોર બે નવી ડેઈલી ફલાઈટની ઉડાન શરૂ કરવામાં આવનાર છે. ઈન્ડિગો એરલાઈન્સ કંપનીએ અગાઉ 1લી મેથી ઈન્દોર અને ઉદયપુરની ડેઈલી હવાઈ સેવાની જાહેરાત કરી હતી, પરંતુ બંને ફ્લાઇટનું ઉડ્ડયન પાછું ઠેલાતા હવે 1 જુલાઈથી આ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
ડેઈલી ફલાઈટના ઉડ્ડયનનું સમયપત્રક જાહેર
પ્રાપ્ત વિગત મુજબ ઈન્ડિગો એરલાઈન્સ કંપનીએ તા.1 જુલાઈથી રાજકોટ-ઈન્દોર અને રાજકોટ-ઉદયપુર ડેઈલી ફલાઈટના ઉડ્ડયનનું સમયપત્રક જાહેર કર્યું છે. જે મુજબ રાજકોટથી ઉદયપુર સવારે 8.40 ટેકઓફ થઈ 9.35 કલાકે ઉદયપુર લેન્ડ થશે. પરત ઉદયપુરથી સવારે 10.15 ટેકઓફ થઈ 11.35 કલાકે રાજકોટ આવશે. જયારે રાજકોટ-ઈન્દોર ફલાઈટ સવારે 11.55 કલાકે ટેકઓફ થઈ 14.00 કલાકે ઈન્દોર પહોંચશે અને સવારે 6.30 કલાકે ઈન્દોરથી ટેકઓફ થઈ સવારે 8.20 કલાકે રાજકોટ આવશે. ઈન્દોર અને ઉદયપુરની સીધી ફલાઈટ શરૂ કરવા રાજકોટના વિવિધ સંગઠનો અને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલી માંગને લઈ ઈન્ડિગો એરલાઈન્સે આ બંને ડેઈલી ફલાઈટ ઉડાડવા નિર્ણય કર્યો છે.