નિમુબેન બાંભણીયા મેયર હતા ત્યારે પરિવાર માટે ઓફિસમાં નો-એન્ટ્રી હતી
વ્યવસાયે શિક્ષક અને મોદી કેબિનેટમાં સ્થાન મેળવનાર
નરેન્દ્રભાઈ મોદીની કેબિનેટમાં સૌરાષ્ટ્રમાંથી મનસુખભાઈ માંડવિયા પછી નીમુબેન બાંભણિયાને સ્થાન મળ્યું છે.
નિમુબેન બાંભણિયા તળપદા કોળી સમાજમાંથી આવે છે અને આદર્શ તેમજ સાલસ વ્યક્તિ તરીકેની તેમની છાપ છે. સંગઠનાત્મક કામોમાં તેમની વધુ પકડ છે. તેઓ બે વાર મેયર રહી ચુક્યા છે. ત્રણવાર કોર્પોરેટર અને અનેક જિલ્લાના પ્રભારી તરીકેની પણ જવાબદારી નિભાવી ચુક્યા છે.
નિમુબેન બાંભણિયા ભાવનગરના ઘોઘા સ્ટ્રીટ વિસ્તારથી સતત ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહ્યા છે. તેમજ બે વખત ભાવનગરના મેયર રહી ચુક્યા છે. આ અગાઉ તેઓ સુરેન્દ્રનગર ભાજપના પ્રભારી હતા. હાલ તેઓ જુનાગઢ ભાજપના પ્રભારી છે.
નિમુબેન બાંભણિયા અત્યંત સાલસ, સાદગીસભર અને આદર્શ છબી ધરાવે છે. નિમુબેન મૂળ વ્યવસાયે શિક્ષક હતા અને તેઓ એક સ્કૂલ પણ ચલાવે છે અને તેમના પતિ પણ શિક્ષક છે. તેઓ મેયર હતા એ સમયે તેમના પરિવારજનોને સ્પષ્ટ સૂચના હતી કે તેમની મેયર સહિતની ગાડીઓનો ઉપયોગ ન કરવો અને તેમની ઓફિસમાં પણ તેમના પરિવારજનોને આવવાની છૂટ ન હતી.નિમુબેન બાંભણીયા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 2011થી 2016 દરમિયાન ડાયરેક્ટર રહી ચુક્યા છે.૨૦૦૪થી ભાજપ સાથે જોડાયેલા નીમુબેન ભાવનગરના 150 ફૂટ રિંગ રોડ પર પરિવાર સાથે રહે છે.
જાહેર જીવનમાં આદર્શ મૂલ્યો પ્રસ્થાપિત કરવાની વાતો વચ્ચે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ધરાતલ પર ઉતારી ચુક્યા છે. આ પ્રકારની સાફ છબી ઉપરાંત તેમનો કોળી સમુદાય પર પણ સારો પ્રભાવ છે.”
ઉલ્લેખનીય છે કે, નિમુબેન બાંભણીયા અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીમાં સભ્ય છે. આ સાથે રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી તરીકે 2022થી કાર્યરત છે. આ સાથે સમસ્ત કોળી સમાજ સેવા મંડળ પારૂલ સોસાયટીમાં ઉપપ્રમુખ છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન પણ કરે છે. આ સાથે નિમુબેન બાંભણીયા ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનમાં સભ્ય છે.