યોગીના નામે પોસ્ટ મૂકાતા શું થઈ બબાલ ? કેટલા ઘાયલ થયા ? જુઓ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિષે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવાના મુદ્દે જોનપૂર પાસેના ગામમાં શનિવારે મોડી રાત્રે ભારે બબાલ અને મારપીટ તથા હિંસા થઈ ગઈ હતી જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ એક ડઝનથી વધુ લોકો ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં ટેન્શન ફેલાયું હતું.
ઘાયલો પૈકીનાં 6 ની હાલત ગંભીર બની જતાં એમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બાબતે પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. ગામમાં ભારે તંગદિલી ફેલાઈ જતાં પોલીસ અને જવાનોની ફોર્સ ખડકી દેવાઈ હતી. પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
છીદવાભાંદી નામના ગામમાં એક યુવકે ઇન્સ્ટાગ્રામ પર યોગી વિષે વાંધાજનક પોસ્ટ મૂકી હતી અને બીજી કોમના યુવકોએ તેની સામે વાંધો લઈને પોસ્ટ કરનાર યુવકના પરિવારને ફરિયાદ કરી હતી. ત્યારબાદ યુવકે ફરિયાદ કરનાર યુવકોના ઘરે જઈને બબાલ કરી હતી અને જોત જોતમાં બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ જતાં લાઠીઓથી સામસામે મારામારી થઈ હતી.
આ ઘટનામાં એક ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો આવી ગયો હતો અને મામલો સંભાળીને તોફાનીઓને વિખેરયા હતા અને ઘાયલોને હોસ્પિટલે લઈ જવાયા હતા. ઘાયલોમાં મંજુ, સંતોષ, વિનોદ, બિપિન, પવન, ઉષા, કરીમ, નજમુનિસા, સગીર અહેમદ અને શબાનાનો સમાવેશ થાય છે.