લોકસભા ચૂંટણી સમયે જ પડધરી મામલતદાર કચેરી સંપર્ક વિહોણી
એક ટેલિફોન નંબર લાંબા સમયથી બંધ : બિલ ભરાયું હોવા છતાં બીએસએનએલે છેડા કટ્ટ કર્યાનો તંત્રનો દાવો
રાજકોટ : લોકસભા ચૂંટણી સમયે જ પડધરી મામલતદાર કચેરીનો એક માત્ર લેન્ડલાઈન નંબર બંધ થઇ જતા મામલતદાર કચેરી સંપર્ક વિહીન બની છે, મામલતદાર કચેરીનો એક ફોન લાંબા સમયથી બંધ છે ત્યારે બીજો લેન્ડલાઈન નંબર પણ બંધ થઈ જતા તંત્રએ ચાર દિવસ પહેલા બિલ ભર્યું હોવા છતાં બીએસએનએલ દ્વારા લેન્ડલાઈન બંધ કરી હોવાનું જણાવ્યું હતું.
10 -રાજકોટ લોકસભામાં સમાવિષ્ઠ પડધરી તાલુકામાં છેલ્લા અઠવાડિયા જેટલા સમયથી મામલતદાર કચેરીનો એક માત્ર સમ ખાવા પૂરતો લેન્ડલાઈન નંબર બંધ થઇ જતા અગત્યની કામગીરી સમયે માત્રને માત્ર અધિકારીઓના નંબર ઉપર જ સંપર્ક શક્ય છે, ખાસ કરીને બોર્ડની પરીક્ષા તેમજ ફ્લડ કંટ્રોલ સહિતની કામગીરી માટે લેન્ડલાઈન નંબર અગત્યની જરૂરિયાત હોવા છતાં પણ પડધરી તાલુકા મામલતદાર કચેરીનો લેન્ડલાઈન નંબર 02820-233059 તેમજ 02820 – 233061 બંધ થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આજના ઈન્ટરનેટના સમયમાં ફેક્સ આઉટ ઓફ ડેઈટ બન્યા છે ત્યારે પડધરી મામલતદાર કચેરીમાં 02820 – 233061 ફેક્સ નંબર તો લાંબા સમયથી બંધ છે પરંતુ કચેરીનો મુખ્ય લેન્ડલાઈન નંબર 02820-233059 પણ બંધ થઇ ગયો હોય મામલતદારે જણાવ્યું હતું કે, ચાર દિવસ અગાઉ જ બિલ ભરવામાં આવ્યું છે છતાં બીએસએનએલ દ્વારા લેન્ડલાઈન બંધ કરી દેવાતા તાત્કાલિક ફોન ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે.