પરવાનાવાળા હથિયાર જમા કરવવા આદેશ : ચૂંટણીલક્ષી થોકબંધ જાહેરનામા પ્રસિદ્ધ
પરવાનગી વગર દીવાલો ઉપર પોસ્ટર જાહેરાત કે ચિતરામણ નહીં કરી શકાય : કેબલ -ટીવીમાં પ્રમાણપત્ર મેળવ્યા વગરની જાહેરાત નહીં મૂકી શકાય
રાજકોટ : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઢગલાબંધ વિવિધ ચૂંટણીલક્ષી જાહેરનામા પ્રસિદ્ધ કરી પરવાનાવાળા હથિયાર જમા કરવવા આદેશ કરવાની સાથે પરવાનગી વગર દીવાલો ઉપર પોસ્ટર જાહેરાત કે ચિતરામણ નહીં કરવા તેમજ વિવિધ નિયંત્રક જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે.
રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રટ પ્રભવ જોશીએ લોકસભા ચૂંટણીને લઈ અલગ અલગ 10 જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે, જે અંતર્ગત ચૂંટણીને લઈ જિલ્લાના તમામ હથીયાર પરવાનેદારોએ પરવાના હેઠળના હથીયારો નજીકના અને સબંધિત પોલીસ સ્ટેશનમાં સાત દિવસમાં અનામત તરીકે જમા કરાવવા આદેશ કર્યો છે. આ તમામ હથિયારો ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી તા.6 જૂન બાદ પરત કરવામાં આવશે.સાથે જ ચૂંટણી દરમિયાન પ્રચાર સમયમગાળામાં ખાનગી અને જાહેર મિલ્કતની વિકૃતિ અને બગાડ અટકાવવા બાબતે પણ નિયંત્રણ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરી પરવાનગી વગર કોઈપણ ખાનગી કે જાહેર મિલ્કતો ઉપર ચિતરામણ ન કરવા તેમજ પોસ્ટર ન લગાવવા આદેશ કર્યો છે.
આ ઉપરાંત ચૂંટણી સમયગાળા દરમિયાન સબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી પાસે વાહન રજીસ્ટર કરાવ્યા વિના ચૂંટણીના કામે નહીં વાપરવા તથા ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવા તેમજ સક્ષમ અધિકારીની પુર્વ પરવાનગી મેળવ્યા વિના ચાર કરતા વધારે વ્યકિતઓઓ એકત્રિત નહીં થવા કે સભા નહીં ભરવા તેમજ સરઘસ નહીં કાઢવા તેમજ જાહેરનામાથી સભા,સરઘસની પરવાનગી માટે મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવા બાબત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ ઉપરાંત ઉમેદવારી પત્ર રજુ કરવા સમયે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અને અન્ય ચાર વ્યકિત મળી પાંચ જ વ્યકિતઓએ દાખલ થવા તેમજ કચેરીના ૧૦૦ મી. આસપાસના વિસ્તારમાં ત્રણ થી વધારે વાહનો સાથે નહીં પ્રવેશવા બાબતનુ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમજ પોસ્ટર, પેમ્ફલેટ વગેરે ચૂંટણી પ્રચાર વિષયક સાહિત્ય છાપનાર મુદ્રક તથા પ્રકાશકે છાપકામ કર્યાના ત્રણ દિવસમાં ડેકલેરેશન રજુ કરવા આદેશ આપતું જાહેરનામું અમલી બનાવ્યું છે.
સાથે જ ટેલીવિઝન ચેનલ અને લોકલ કેબલ નેટવર્ક પર ચૂંટણી વિષયક પ્રચાર, જાહેરાત, જીજીંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસ વગેરેનું પ્રસારણ ડીસ્ટ્રીકટ લેવલ કમીટીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કરવા બાબત. સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર તથા તો રેડીયો વગેરે જેવા ઈલેકટ્રોનીક પ્રસાર માઘ્યમોએ પ્રત્યેક દિવસ દરમિયાન કરેલ પ્રસારણની સીડી રજુ કરવા આદેશ કરી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ કાયદાનો ભંગ થાય તેવા, ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા એસ.એમ.એસ. પ્રસારીત કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અમલી બનાવ્યું છે.
જિલ્લા મેજીસ્ટ્રટ દ્વારા લોકસભા ચૂંટણી અન્વયે ભારતના ચૂંટણી પંચની સુચનાઓ અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગરના તા.૦૫/૦૩/૨૦૧૪ ના પરીપત્રથી આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા ઠરાવવામાં આવે છે જે મુજબ સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાક બંગલાઓ અને સરકારી રહેણાંકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી સર્કિટ હાઉસ જેવા સરકારી આરામગૃહ ખાતે મીટિંગોની મનાઈ ફરમાવતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે.