બજેટ 2024 : નમો ભારત ટ્રેન, વંદે ભારત અને મેટ્રો ટ્રેનમાં જાણો કઈ-કઈ નવી સુવિધા મળશે
- સરકાર રેલવેને મજબૂત કરવા માટે ઘણા મોટા પગલા લેશેઃ નાણામંત્રી
- પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હેઠળ 3 કોરિડોર બનાવવામાં આવશેઃનાણામંત્રી
બજેટ ભાષણમાં નાણામંત્રીએ ટ્રેન અને એવિએશનને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે સરકાર રેલવેને મજબૂત કરવા માટે ઘણા મોટા પગલા લેશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હેઠળ 3 કોરિડોર બનાવવામાં આવશે. આ ઉપરાંત વંદે ભારતને અપગ્રેડ કરવામાં આવશે. આગામી દિવસોમાં સરકાર મેટ્રો રેલ અને નમો ભારતને દેશના અન્ય શહેરો સાથે જોડશે.
બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું હતું કે અલગ-અલગ શહેરોમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેનોમાં મોટો અપગ્રેડ કરવામાં આવશે. વંદે ભારતમાં 40 હજાર નવી બોગીને અપગ્રેડ કરવામાં આવશે. આ સિવાય સરકાર દેશના વિવિધ શહેરોને મેટ્રો રેલ અને નમો ભારત સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.
એરપોર્ટની સંખ્યામાં વધારો
રેલવેની સાથે સરકારે ઉડ્ડયન માટે પણ જાહેરાત કરી છે. બજેટ ભાષણમાં સરકારે આગામી 10 વર્ષમાં નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. સરકાર એક દાયકામાં એરપોર્ટની સંખ્યા વધારીને 149 કરશે. સરકારની જાહેરાત મુજબ, UDAN યોજના હેઠળ 517 નવા રૂટને જોડવામાં આવશે. UDAN યોજના ટિયર-2, ટાયર-3 શહેરોમાં સફળ રહી છે.
