સંસદમાં વિપક્ષી હઠાગ્રહ યથાવત, શું કર્યું અધ્યક્ષોએ ? જુઓ
- કોણ કોણ થયા બહાર ?
- કૂલ કેટલા સભ્યો સસ્પેન્ડ ?
સંસદ સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગ કરી રહેલા વિપક્ષનો હંગામો સતત ચાલુ જ રહ્યો હતો આ દરમિયાન લોકસભામાં અધ્યક્ષનું અપમાન કરનારા વધુ 41 સાંસદોને ફરી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સૂલે પણ સામેલ છે. આ ઉપરાંત 8 રાજ્યસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરાયા હતા. આમ મંગળવારે એક જ દિવસમાં ૪૯ સાંસદોને બહાર કરાયા હતા.
આમ અત્યાર સુધી કુલ 141 સાંસદની હકાલપટ્ટી કરાઈ ચૂકી છે. 18 ડિસેમબર સુધી સંસદના કુલ 92 સાંસદ સસ્પેન્ડ હતા. વિપક્ષનો હઠાગ્રહ ગૃહમાં અવરોધક બની રહ્યો હતો અને બંને ગૃહોમાંથી તોફાની સભ્યોને બહાર કરવા પડ્યા હતા.
કયા મોટા નેતા સસ્પેન્ડ
કોંગ્રેસ નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરૂર, બસપાના દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સૂલે, સપા સાંસદ ડિમ્પલ યાદવ, એસટી હસન, તૃણમૂલ સાંસદ માલા રોય અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુ પણ આ યાદીમાં સામેલ છે.
સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યો હાથમાં બેનરો સાથે નારાબાજી શરૂ કરી હતી. બાદમાં તેઓ વડાપ્રધાનની તસવીર સાથેના પ્લેકાર્ડ તેમની ખુરશી સામે આવી ગયા હતા અને હંગામો શરૂ કરી દીધો. આમ છતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સાંસદોએ જોરશોરથી નારાબાજી કરી. તેથી બિરલાએ તમામ સભ્યોને હંગામો નહીં કરવા અને ગૃહની કાર્યવાહી નિયમો પ્રમાણે જ આગળ વધવા દેવાનો આગ્રહ કર્યો, પરંતુ તેમની વાત કોઈએ સાંભળી નહતી.
આ દરમિયાન બિરલાએ કહ્યું કે ‘આ ગૃહ તમારું છે. ગૃહ નિયમો પ્રમાણે ચાલે છે અને તે પણ તમે જ બનાવ્યા છે. તમે જ ગૃહમાં બેનરો લઈને નહીં આવવાનું કહ્યું હતું. આવું ચાલ્યું તો ગૃહ નહીં ચાલે. આખો દેશ ગૃહની કાર્યવાહી જોઈ રહ્યો છે. તમે ગૃહની મર્યાદા તોડી રહ્યા છો. એટલે તમને છેલ્લી ચેતવણી આપું છું.’