મોંઘું ભલે પડે, વાહન તો પેટ્રોલથી ચાલતું જ લેવાનું
૯ મહિનામાં રાજકોટમાં પેટ્રોલથી ચાલતા ૨૪૦૦૭ ટુ-વ્હીલર અને ૩૮૫૨ ફોર-વ્હીલરનું વેચાણ: માલવાહક વાહન તેમજ રિક્ષા માટે સીએનજી પર પસંદગી
રાજકોટમાં પેટ્રોલના ભાવ ૯૫ આસપાસ પહોંચી ગયા છે જેના કારણે લોકોમાં બોકાસો બોલી ગયો છે અને વાહનનો જરૂર પૂરતો જ ઉપયોગ કરી રહ્યા છે. બીજી બાજુ પેટ્રોલના વિકલ્પરૂપે લોકો સીએનજીથી ચાલતા વાહનો ઉપર પસંદગી ઉતારશે તેવું લાગી રહ્યું હતું પરંતુ આ ધારણા ખોટી સાબિત થઈ રહી હોય તેવી રીતે રાજકોટમાં નવ મહિનાની અંદર પેટ્રોલથી સંચાલિત થતાં વાહનોની જ ધૂમ ખરીદી થઈ રહી છે. એકંદરે ભાવવધારાની રાજકોટીયન્સ ઉપર કોઈ જ અસર ન હોય તેવી રીતે વાહનોની ખરીદીમાં ધૂમ બોલી રહી છે.
રાજકોટમાં તા.૧-૧-૨૦૨૩થી તા.૩૦-૯-૨૦૨૩ સુધીમાં માત્ર પેટ્રોલથી જ ચાલતાં ૨૪૦૦૭ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. આવી જ રીતે પેટ્રોલ સંચાલિત ૩૮૫૨ ફોર-વ્હીલર વેચાઈ છે. જ્યારે માલવાહક વાહનો તેમજ રિક્ષા માટે સીએનજી પર પસંદગી ઉતારવામાં આવી હોય તેમ નવ મહિનામાં સીએનજીથી ચાલતી ૧૮૫૨ રિક્ષા તો ૧૯૪૭ માલવાહક ગાડીની ખરીદી કરવામાં આવી છે. ડીઝની વાત કરવામાં આવે તો નવ મહિનામાં ડીઝલ સંચાલિત ૬ ટુ-વ્હીલર, ૧૩૮ થ્રી-વ્હીલર અને ૮૦૩ ફોર-વ્હીલરનું વેચાણ થયું છે.
જેની સામે પાછલા વર્ષે તા.૧-૧-૨૦૨૨થી તા.૩૦-૯-૨૦૨૨ સુધીના આંકડા પર નજર કરીએ તો આટલા સમયમાં પેટ્રોલ સંચાલિત ૨૧૬૫૮ ટુ-વ્હીલર, ૨૮૪૪ ફોર-વ્હીલર વાહનોનું વેચાણ થયું હતું જે રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે કેમ કે આ વર્ષે ટુ અને ફોર-વ્હીલર વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.
ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૨૨૬.૧૬ કરોડના વાહનોનું વેચાણ વધુ
જાણવા મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે રાજકોટમાં ૭૪૩.૬૩ કરોડના વાહનો વેચાયા હતા જેની સામે આ વર્ષે ૯૬૯.૭૯ કરોડના વાહન વેચાયા છે મતલબ કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૨૨૬.૧૬ કરોડના વાહનોનું વધુ વેચાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે જે બદલ મહાપાલિકાને ટેક્સની આવકમાં પણ વધારો મળ્યો છે.
