ગુજરાતમાં નશાખોરીનો વ્યાપ વધ્યો: 40 લાખ લોકો દારૂ અને ડ્રગ્સના બંધાણી!
ગુજરાતમાં ‘પિયાય છે તો વેચાય છે’ ની કહેવત મુજબ નશાખોરીનો કારોબાર ચિંતાજનક રીતે ફૂલીફાલી રહ્યો છે. રાજ્યમાં લાખો લોકો દારૂ, ચરસ, ગાંજો અને સિન્થેટિક ડ્રગ્સના બંધાણી બન્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. યુવાધન અને મહિલાઓ પણ આ દૂષણનો શિકાર બની રહ્યા છે ત્યારે આ મામલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં નશાખોરીના ચોંકાવનારા આંકડા
રાજ્યમાં અંદાજે 40 લાખ જેટલા લોકો નિયમિતપણે વિવિધ પ્રકારના નશાના બંધાણી છે. આંકડાઓ મુજબ રાજ્યમાં 20 લાખ લોકો દારૂના અને બાકીના 20 લાખ લોકો ચરસ, અફીણ, ગાંજો, ભાંગ અને સિન્થેટિક ડ્રગ્સના રસ્તે ચડી ગયા છે. ખાસ કરીને કોરોના મહામારી પછી સિન્થેટિક ડ્રગ્સ અને નશીલી દવાઓની માંગમાં મોટો વધારો થયો છે. સંસદમાં રજૂ થયેલા સર્વે અનુસાર, 9 લાખ લોકો પેઇનકિલર કે સેડેટિવ્સ જેવી દવાઓનો નશો કરે છે, જ્યારે 2 લાખથી વધુ મહિલાઓ પણ આ લતે ચડી ચૂકી છે.
કરોડોનું ડ્રગ્સ જપ્ત છતાં નશા મુક્તિનો અભાવ
ગુજરાત પોલીસ અને એનસીબી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 13,600 કરોડ રૂપિયાની કિંમતનું 1.39 લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 5,348 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જોકે, આ ગાળા દરમિયાન કેટલા યુવક-યુવતીઓ નશા મુક્ત થયા તેનો કોઈ ચોક્કસ ડેટા કે સંતોષકારક આંકડો જવાબદાર વિભાગો પાસે ઉપલબ્ધ નથી. બીજી તરફ, નશો છોડાવવાના નામે ખાનગી રિ-હેબ સેન્ટરો અને ડૉક્ટરો દ્વારા તોતિંગ ફી વસૂલીને પોતાનો બિઝનેસ ચલાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો પર દેવાનો અસહ્ય બોજ અને કેન્દ્ર સરકારના સ્પષ્ટ ઇનકારથી ચિંતા
પોલીસ તંત્રની કડક કાર્યવાહી: ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ની રચના
ડ્રગ્સના આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં આગામી સાત દિવસમાં વિશેષ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ શરૂ કરવાના આદેશ આપ્યા છે. અમદાવાદ અને સુરતમાં 2-2 તેમજ વડોદરા અને રાજકોટમાં 1-1 યુનિટ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાએ 1-1 ખાસ યુનિટ રચાશે. આ 8 સભ્યોની ટીમમાં પીઆઈ, પીએસઆઈ અને અન્ય કોન્સ્ટેબલો સામેલ હશે, જેને અલગ વાહન ફાળવવામાં આવશે. આ ટીમ અન્ય કોઈ કામગીરી કર્યા વગર માત્ર ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
નશાખોરીનું આ વધતું પ્રમાણ ગુજરાતના યુવાધન અને પારિવારિક માળખા માટે એક મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે. સરકારે માત્ર ડ્રગ્સ પકડવાની કાર્યવાહી પૂરતું મર્યાદિત ન રહેતા, યુવાનોને નશાથી દૂર રાખવા માટે જનજાગૃતિ અને અસરકારક પુનર્વસન અભિયાન ચલાવવું પણ એટલું જ અનિવાર્ય છે.
