અન્ન નાગરિક પુરવઠા વિભાગનો નિર્ણય: રેશનકાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં કાપ મુકાતા રોષ
મોંઘવારીના આ સમયમાં સામાન્ય અને ગરીબ પરિવારોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો પર મળતા રેશનિંગના જથ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલુ મહિનાથી ચોખાના જથ્થામાં મોટો કાપ મૂકવામાં આવતા કાર્ડધારકોમાં નારાજગી વ્યાપી ગઈ છે અને ઘરનું બજેટ ખોરડાવાની દહેશત ઊભી થઈ છે.
વ્યક્તિદીઠ 3 કિલોને બદલે હવે માત્ર 1 કિલો ચોખા મળશે
સરકારી સસ્તા અનાજની દુકાનો પર અગાઉ કાર્ડધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા આપવામાં આવતા હતા, જેમાં સરકારે મોટો ઘટાડો કરીને હવે માત્ર 1 કિલો ચોખા આપવાનું નક્કી કર્યું છે. ચોખાના આ જથ્થામાં સીધો 2 કિલોનો કાપ મૂકવામાં આવ્યો છે અને તેની સામે પૌષ્ટિક અનાજના નામે વ્યક્તિદીઠ 2 કિલો બાજરી આપવાનું નવું પ્રમાણ નક્કી કરાયું છે. પરિણામે, આ મહિને ગ્રાહકોને ઓછી માત્રામાં ચોખા અને વધુ પ્રમાણમાં ઘઉં-બાજરી મળી રહ્યા છે.
પરંપરાગત આહાર પર અસર અને રેશનકાર્ડ ધારકોની મુશ્કેલીઓ
ગુજરાતી પરિવારોના દૈનિક ભોજનમાં દાળ-ભાત અને ખીચડી જેવી વાનગીઓનો મોટો અને મહત્ત્વનો હિસ્સો હોય છે. મોટાભાગના ઘરોમાં ઘઉં અને બાજરી કરતા ચોખાનો વપરાશ વિશેષ રહે છે. અચાનક ચોખાનો જથ્થો ઘટાડી દેવાતા પરિવારોએ હવે બહાર ખુલ્લા બજારમાંથી ઊંચા ભાવે ચોખા ખરીદવાની ફરજ પડી રહી છે, જેના કારણે સામાન્ય પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે બગડી ગયું છે.
બાજરીનો જથ્થો વધારાયો છતાં નારાજગી યથાવત
અગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી ફાળવવામાં આવતી હતી, જે આ મહિને વધારીને 2 કિલો કરવામાં આવી છે. જોકે, રેશન દુકાનો પર નવો જથ્થો પહોંચ્યા બાદ ગ્રાહકોમાં એવી ચર્ચા છે કે વધારાની બાજરી તેમની દૈનિક જરૂરિયાત મુજબ ઉપયોગમાં નથી આવતી. ગ્રાહકો હવે સીધી માંગ કરી રહ્યા છે કે બાજરીના બદલે અગાઉની જેમ જ વ્યક્તિદીઠ 3 કિલો ચોખા આપવા જોઈએ અને સરકાર આ નીતિ પર પુનઃવિચાર કરે.
ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે રેશનિંગનું અનાજ મોટો આધાર હોય છે. ચોખાના જથ્થામાં કરાયેલા અચાનક ઘટાડાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો સરકાર આ મામલે જનતાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય નહીં લે, તો અસંતોષ વધુ વધી શકે છે.
