ભારતે ‘સવાલ-જવાબ’ ટાળવા કહ્યું હતું, પણ ડોનાલ્ડ ટ્રમ્પના એક સવાલે રંગ બદલ્યો!: અમેરિકન રાજદૂતનો દાવો
કૂટનીતિની દુનિયામાં બે દેશોના શીર્ષ નેતાઓ જ્યારે મળે છે, ત્યારે પડદા પાછળની વાતો અને પ્રોટોકોલનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે. કઈ વાત જાહેરમાં આવશે અને કઈ બાબતો મીડિયા સમક્ષ અપાશે તેની અગાઉથી રણનીતિ નક્કી થતી હોય છે. પરંતુ જો કોઈ નેતા અણધારી રીતે પ્રોટોકોલથી વિપરીત જઈને કંઈક અલગ જ કરી બેસે, તો કેવી સ્થિતિ સર્જાય? અમેરિકાના રાજદૂતે ફ્રાન્સમાં યોજાયેલી જી-૭ સમિટ દરમિયાન પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને એક એવો જ ખુલાસો કર્યો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે.
G7 સમિટ દરમિયાન બેકસ્ટેજની વાતો બહાર આવી
અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) તાજેતરમાં એક ફોરમમાં વાતચીત દરમિયાન ફ્રાન્સના એવિયાન-લેસ-બેન્સમાં યોજાયેલી જી-૭ સમિટ (G7 Summit)ની એક રસપ્રદ અને અંદરની કહાની શેર કરી છે. આ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અગાઉ ભારતીય પક્ષ તરફથી શું અપેક્ષાઓ રાખવામાં આવી હતી તેનો ખુલાસો હવે રાજદૂતે કર્યો છે.
આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં ફૂડ પોઈઝનિંગથી એક જ પરિવારની ત્રણ માસૂમ બહેનોના દર્દનાક મોત
ભારતીય વિદેશ મંત્રાલયની સ્પષ્ટ શરત હતી કે સવાલ-જવાબ ન થાય
સર્જિયો ગોરના જણાવ્યા મુજબ, બેઠક શરૂ થતા પહેલા સ્ટેજ પાછળ તેમની અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ચર્ચા થઈ હતી. તે સમયે ટ્રમ્પે પૂછ્યું હતું કે ભારતીય પક્ષની કોઈ વિશેષ માગ કે અપેક્ષા છે કે નહીં. તેના જવાબમાં રાજદૂતે જણાવ્યું હતું કે ભારતીય વિદેશ મંત્રાલય (MEA)ની માત્ર એક જ શરત છે કે મીડિયાને ફોટો-ઓપ માટે બોલાવવામાં આવે, પરંતુ કોઈ ફુલ પ્રેસ કૉન્ફરન્સ કે પ્રશ્નોત્તરી (Q&A Session) રાખવામાં ન આવે કારણ કે ભારતીય પક્ષ પ્રશ્નોત્તરીના પક્ષમાં નથી. ગોરના કહેવા પ્રમાણે, ટ્રમ્પે આ વાત સ્વીકારી લીધી હતી અને કહ્યું હતું કે “કોઈ વાંધો નહીં”.
ટ્રમ્પના એક જ સવાલે આખું ચિત્ર બદલી નાખ્યું
જ્યારે બંને નેતાઓ મીડિયા અને અંદાજે 50 જેટલા કેમેરા સમક્ષ સામસામે બેઠા અને પ્રારંભિક નિવેદનો આપ્યા, ત્યારે અચાનક વાતાવરણ બદલાઈ ગયું. મીડિયા સમક્ષ વાત પૂરી થતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો તરફ નજર કરી અને અચાનક પૂછી લીધું— “કોઈ સવાલ?” (Any questions?) ટ્રમ્પના આ એક જ સવાલે અગાઉ નક્કી થયેલી રૂપરેખા બદલી નાખી અને તે 45 મિનિટ લાંબી ફૂલ-ફ્લેજ્ડ પ્રેસ કૉન્ફરન્સમાં ફેરવાઈ ગઈ, જ્યાં પત્રકારોએ મુક્તપણે સવાલો પૂછ્યા.
રાજદૂત સર્જિયો ગોર દ્વારા કરવામાં આવેલા આ દાવા બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવો ગણગણાટ શરૂ થયો છે. જોકે, આ સમગ્ર ઘટના અને નિવેદન સામે હજુ સુધી ભારત સરકાર કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ અધિકૃત પ્રતિક્રિયા કે સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ આ કિસ્સો કૂટનીતિક બેઠકોમાં અણધાર્યા વળાંગો કેવા રસપ્રદ દ્રશ્યો સર્જી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.
