બિલની જોગવાઈ મુજબ 2034 સુધી સરકાર રાહ જોવા માંગતા નથી
સરકાર સક્રિય: સંસદના શિયાળુ સત્રમાં જ સંસદીય સમિતિ આ અંગેનો અહેવાલ રજૂ કરી દેશે, 22 રાજ્યોમાં એકસાથે વિધાનસભા ભંગ થશે?
કેન્દ્ર સરકાર ‘એક દેશ, એક ચૂંટણી’ માટે ૨૦૩૪ સુધી રાહ જોવા ઇચ્છતી નથી. તાજા અહેવાલો અનુસાર, એનડીએ શાસિત ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૦૨૯ની લોકસભા ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી કરાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે વિધાનસભાઓને વહેલી વિખેરી નાખવાનો વિકલ્પ પણ વિચારાઈ રહ્યો છે. આ માટેના બિલની મુદ્દત 2034 છે પણ સરકાર ત્યાં સુધી રાહ જોવા માગતી નથી તેમ બહાર આવ્યું છે.
હાલના બિલ્ અનુસાર એક સાથે ચૂંટણીનો સમય ૨૦૩૪નો છે. પરંતુ સરકાર આ સમયમર્યાદા ઘટાડીને ૨૦૨૯ કરવા માંગે છે, જેથી આગામી લોકસભા ચૂંટણી સાથે જ દેશભરની વિધાનસભાઓની ચૂંટણી થઈ શકે.
દેશમાં હાલમાં ૨૨ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં એનડીએની સરકાર છે. તેમાંથી ૧૧માં આગામી બે વર્ષમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશા જેવા ચાર રાજ્યોમાં જ લોકસભા સાથે ચૂંટણી થવાની છે અને ત્યાં એનડીએનું શાસન છે.
સંયુક્ત સંસદીય સમિતિ (JPC) છેલ્લા બે વર્ષથી આ વિષય પર કામ કરી રહી છે અને આ વર્ષના શિયાળુ સત્રમાં તેની રિપોર્ટ સંસદમાં રજૂ કરી શકે છે. સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું છે કે આ મુદ્દો સમિતિના કાર્યક્ષેત્રની બહારનો છે અને એનડીએના મુખ્યમંત્રીઓને નિર્ણય લેવો પડશે.
બંધારણની કલમ ૧૭૪(૨)(બી) અનુસાર રાજ્યપાલ વિધાનસભા વિખેરી શકે છે. જો એનડીએ સરકારો તેમની સલાહથી જાન્યુઆરી ૨૦૨૯ સુધીમાં વિધાનસભાઓ વિખેરે તો ચૂંટણી પંચ છ મહિનામાં ચૂંટણી કરાવી શકે છે. આ રીતે ૨૦૨૯માં લોકસભા સાથે આ રાજ્યોની વિધાનસભા ચૂંટણી થઈ શકે છે.
સંસદનું શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં શરૂ થતું હોય છે અને ક્રિસમસના તહેવાર પહેલા જ સંપન્ન થઈ જાય છે. આ જ કાર્યક્રમ ચાલુ રહે છે કે કેમ તેના તરફ નજર રહેશે.
અત્યાર સુધીમાં અનેક રાજ્યોએઆ પદ્ધતિ માટે સહમતિ આપી છે
ગોવા, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ પહેલેથી જ આ યોજનાને સમર્થન આપ્યું છે. દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હિતમાં જરૂર પડે તો તેમની સરકાર મુદત ઘટાડવા તૈયાર છે.
આ પગલાથી કેટલીક વિધાનસભાઓની મુદત ત્રણથી ચાર વર્ષ ઘટી જશે. વિરોધી પક્ષો આનો વિરોધ કરી રહ્યા છે અને તેને બંધારણ વિરુદ્ધ અને લોકશાહી વિરુદ્ધ ગણાવી રહ્યા છે.
સંસદીય સમિતિએ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મસલતો વધારી
સમિતિ હાલમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય હિસ્સેદારો સાથે સલાહ-મસલત કરી રહી છે. જો આ યોજના આગળ વધે તો ૨૦૨૯ની લોકસભા ચૂંટણી સાથે જ મોટા પાયે સમકાલીન ચૂંટણીનો પ્રારંભ થઈ શકે છે. આમ કેન્દ્ર સરકારે આ પ્રક્રિયાને ઝડપી બનાવી છે અને ટૂંક સમયમાં જ આ બારામાં કોઈ મોટો નિર્ણય પણ જાહેર થઈ શકે છે.
