પરિસીમન બિલ સામે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયનો કેન્દ્રને સીધો પડકાર
ભારતીય સંઘવાદ અને રાજકીય સમીકરણોમાં હાલમાં એક નવો અને ભારે વિવાદાસ્પદ અધ્યાય શરૂ થયો છે. કેન્દ્ર સરકારના આગામી ‘પરિસીમન’ (Delimitation) પ્લાન સામે દક્ષિણ ભારતે મોરચો ખોલી દીધો છે. તમિલનાડુના રાજકારણમાં ગરમાવો લાવતા, મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે વિધાનસભામાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે દક્ષિણ ભારતના હકો અને અધિકારોની ભોગે લોકસભાની બેઠકો વધારવાના કોઈપણ પ્રયાસને સાંખી લેવામાં નહીં આવે. વસ્તી નિયંત્રણના નિયમોનું ઈમાનદારીથી પાલન કરનાર રાજ્યો પર સંસદમાં નબળા પ્રતિનિધિત્વની તલવાર લટકી રહી છે, ત્યારે તમિલનાડુ સરકારે વિધાનસભામાં સત્તાવાર પ્રસ્તાવ રજૂ કરીને રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે.
પરિસીમન બિલ અને બેઠકો સામે સખત વિરોધ
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે (થલપતિ વિજય) વિધાનસભામાં પરિસીમન બિલ અને લોકસભાની સીટો વધારવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. સરકારનું સ્પષ્ટ માનવું છે કે જો વસ્તીના આધાર પર સીટો વધારવામાં આવશે, તો ઉત્તર ભારતના રાજ્યોની સરખામણીમાં દક્ષિણ ભારતના રાજ્યો (જેમણે વસ્તી નિયંત્રણ સફળતાપૂર્વક લાગુ કર્યું છે) નું સંસદમાં વજન અને પ્રતિનિધિત્વ કાયમ માટે ઘટી જશે. તમિલનાડુ સરકારે કેન્દ્ર સમક્ષ માંગ કરી છે કે દેશમાં લોકસભાની કુલ બેઠકોની સંખ્યા કાયમ માટે 543 પર જ ફ્રીઝ (સ્થિર) રાખવામાં આવે.
મહિલા આરક્ષણ અને વર્તમાન 543 બેઠકોનો મુદ્દો
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓ માટેનું ૩૩% અનામત બિલ ચોક્કસપણે લાગુ થવું જોઈએ, પરંતુ તે વધેલી નવી સીટો પર નહીં, પરંતુ હાલની 543 લોકસભા સીટોના આધારે જ આપવું જોઈએ. પ્રસ્તાવમાં ભારપૂર્વક કહેવાયું છે કે મહિલા અનામતમાં હવે વધુ વિલંબ થવો જોઈએ નહીં. તમિલનાડુમાં પુરુષોની સરખામણીએ મહિલાઓએ વધુ મતદાન કર્યું છે, અને મહિલાઓને અનામત આપવી એ કોઈ દયા કે રાહત નથી પરંતુ સામાજિક ન્યાયનો મૂળભૂત વિષય છે.
નીટ (NEET) અને FCRA બિલ બાદ વધુ એક મોરચો
અગાઉ નીટ (NEET) અને FCRA બિલ સામે પ્રસ્તાવ પાસ કર્યા બાદ, થલપતિ વિજયે પરિસીમન મુદ્દે કેન્દ્ર સરકાર સામે વધુ એક આક્રમક વલણ અપનાવ્યું છે. તમિલનાડુ સરકારનું આ બળવાખોર વલણ સાબિત કરે છે કે રાજય પોતાના સાંસ્કૃતિક, રાજકીય અને ભૌગોલિક અધિકારોના રક્ષણ માટે કેન્દ્ર સામે મજબૂતાઈથી લડવા તૈયાર છે.
