ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ
વિદેશી ફંડના નિયમન માટે લાવવામાં આવેલા વિદેશી ફાળો (નિયમન) સુધારા બિલ-2026 (FCRA Amendment Bill)ને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે. અમેરિકાના સાંસદ રિલી મૂરે બિલની ટીકા કરી તેને ખ્રિસ્તી સંસ્થાઓ સામેનો હુમલો ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો કે પ્રસ્તાવિત સુધારાઓથી સરકારને ચર્ચો અને ધાર્મિક ચેરિટેબલ સંસ્થાઓના સંચાલન પર નિયંત્રણ મેળવવાની સત્તા મળી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે જો બિલ હાલના સ્વરૂપમાં પસાર થશે તો તે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોમાં પણ ચિંતાનો વિષય બની શકે છે.
પ્રસ્તાવિત સુધારા મુજબ, જે સંસ્થાઓની FCRA નોંધણી રદ થશે, સ્વૈચ્છિક રીતે સમર્પિત કરવામાં આવશે અથવા સમયસર તેનું નવીનીકરણ નહીં થાય, તેવી સંસ્થાઓના વિદેશી ફંડ અને તેનાથી સર્જાયેલી સંપત્તિનું સંચાલન સરકાર દ્વારા નિયુક્ત ડિઝાઇનેટેડ ઓથોરિટી સંભાળી શકશે. ઉપરાંત છેલ્લા બે નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 10 લાખથી ઓછા વિદેશી ફંડનો ઉપયોગ કરનારી સંસ્થાઓને નોંધણીના નવીનીકરણમાં મુશ્કેલી પડી શકે છે. વિદેશી ફંડના ટ્રાન્સફર, ઉપયોગની સમયમર્યાદા અને પ્રોજેક્ટ, વેબસાઇટ તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માહિતી જાહેર કરવાની જોગવાઈઓ પણ વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ છે.
બીજી તરફ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે બિલનો હેતુ વિદેશી ફંડના ઉપયોગમાં વધુ પારદર્શિતા, અસરકારક દેખરેખ અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બિલને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો: મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”
શું છે આ કાયદો?
FCRA (Foreign Contribution Regulation Act) એવો કાયદો છે જે હેઠળ એનજીઓ, ટ્રસ્ટ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ સંગઠનોને વિદેશમાંથી મળતા દાન અને તેના ઉપયોગનું નિયમન કરવામાં આવે છે. હાલ સંસ્થાઓએ ગૃહ મંત્રાલય પાસેથી નોંધણી કરાવી દર પાંચ વર્ષે તેનું નવીનીકરણ કરાવવું પડે છે. નવા સુધારા મુજબ કેન્દ્ર સરકાર નિયુક્ત કરેલી ડિઝાઇનેટેડ ઓથોરિટીને નોંધણી રદ, સમર્પણ અથવા નવીનીકરણ ન થાય તેવી સ્થિતિમાં વિદેશી ફંડ અને તેનાથી ઉભી કરાયેલી સંપત્તિના સંચાલનની સત્તા મળશે. ઉપરાંત ઓછા વિદેશી ફંડનો ઉપયોગ કરતી સંસ્થાઓ માટે નવીનીકરણના નિયમો વધુ કડક બનાવવાની તથા માહિતી જાહેર કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
શા માટે થયો છે વિવાદ?
વિવાદનું મુખ્ય કારણ ડિઝાઇનેટેડ ઓથોરિટીને આપવામાં આવતી વિશાળ સત્તાઓ છે. વિપક્ષી પક્ષો, અનેક એનજીઓ અને નાગરિક સંસ્થાઓનું કહેવું છે કે આ જોગવાઈથી સરકાર વિદેશી સહાય પર આધારિત સંસ્થાઓ પર સીધું નિયંત્રણ સ્થાપી શકશે. ખાસ કરીને ચર્ચો, શાળાઓ, હોસ્પિટલો અને સામાજિક સેવા સંસ્થાઓને ભય છે કે નોંધણી રદ થાય તો વર્ષો દરમિયાન વિદેશી દાનથી ઉભી કરાયેલી તેમની સંપત્તિ પણ સરકારી નિયંત્રણ હેઠળ જઈ શકે છે. ખાસ કરીને કેરળની અનેક ખ્રિસ્તી સંસ્થાઓએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે કેન્દ્ર સરકારનો દાવો છે કે સુધારાઓનો હેતુ માત્ર પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે.
