જસદણની આલ્ફા સ્કૂલમાં ચાલતું હતું 697 ડમી વિદ્યાર્થીઓનું નેટવર્ક: 31 શહેરોનો ચાલતો હતો સ્કૂલિંગ સ્કેમ
રાજકોટના જસદણમાં 10 વર્ષની વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના શંકાસ્પદ મોતની તપાસે ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. તપાસ દરમિયાન જસદણની આલ્ફા સંકુલમાં ચાલતા ‘ડમી સ્કૂલિંગ’ના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. નવોદય-સૈનિક સ્કૂલની તૈયારીના નામે રાજ્યના 31 શહેરોના 697 વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે અહીં રાખીને ભણાવવામાં આવતા હતા. આ ઘટના બાદ સ્કૂલ અને હોસ્ટેલને 1 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે.
આયુષીના મોતથી ખુલ્યો ભાંડો
જસદણની આલ્ફા ટ્યુશન ક્લાસ અને હોસ્ટેલમાં રહેતી 10 વર્ષીય આયુષી બલદાણીયાનું ચિકનપોક્સ દરમિયાન સારવાર વખતે મોત થયું હતું. પરિવારનો આરોપ છે કે બીમારી દરમિયાન તેમને જાણ પણ કરવામાં આવી ન હતી. આ મામલાની તપાસ કરતા જ પોલીસ અને શિક્ષણ વિભાગના હાથે એક દેશવ્યાપી ડમી સ્કૂલિંગ નેટવર્ક લાગી આવ્યું.
આ પણ વાંચો: જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
કેવી રીતે ચાલતું હતું ડમી નેટવર્ક?
તપાસમાં ખુલાસો થયો કે નવોદય અને સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને આખું રેકેટ ચાલતું હતું.
– વિદ્યાર્થીઓની હાજરી રાજ્યની 31 શહેરોની અલગ-અલગ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ઓનલાઈન પુરાવવામાં આવતી હતી.
– જ્યારે વાસ્તવમાં તેઓ જસદણના આલ્ફા સંકુલમાં રહીને ટ્યુશન કરતા હતા.
શિક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ કુલ 697 ડમી વિદ્યાર્થીઓ આ રીતે ગેરકાયદેસર અભ્યાસ કરી રહ્યા હતા. જેમાં માત્ર રાજકોટ જિલ્લાની 30થી વધુ શાળાઓ સીધી રીતે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે.
વહીવટી તંત્રની કડક કાર્યવાહી
આ કૌભાંડ સામે આવતા જ શિક્ષણ વિભાગે તાત્કાલિક પગલાં લીધા.
– આલ્ફા સંકુલની સ્કૂલ અને હોસ્ટેલને 1 મહિના માટે સીલ કરવામાં આવી છે.
– સંસ્થાના 2 ટ્રસ્ટીઓ સામે BNS હેઠળ ગુનો નોંધીને અટકાયત કરવામાં આવી છે.
રાજ્યના 31 શહેરોમાંથી 697 ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા
શિક્ષણ વિભાગની તપાસમાં રાજ્યના 31 શહેરોમાંથી 697 ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા છે. DEO રિપોર્ટ બાદ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી એડમિશનનું નેટવર્ક ચાલતું હોવાનો ખુલાસો થયો છે. આલ્ફા ટ્યુશન ક્લાસના બે ટ્રસ્ટીઓ સામે BNS હેઠળ ગુનો નોંધાયો છે. સ્કૂલ અને હોસ્ટેલને એક મહિના માટે બંધ કરવામાં આવ્યા છે.
વાલીઓ પણ સંડોવાયેલા?
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગોલમાલમાં કેટલાક વાલીઓ પણ ભાગીદાર હતા. તેઓ પોતાના બાળકોને નવોદય-સૈનિક સ્કૂલમાં એડમિશન અપાવવાના લાલચમાં આ ડમી સિસ્ટમનો ભાગ બન્યા હતા.
આયુષીના મોતની એક દુઃખદ ઘટનાએ ગુજરાતમાં ચાલતા ડમી એજ્યુકેશનના આખા રેકેટને ઉજાગર કરી દીધું. શિક્ષણ વિભાગે કહ્યું છે કે હવે રાજ્યભરમાં આ પ્રકારની સંસ્થાઓ સામે સઘન તપાસ હાથ ધરવામાં આવશે, જેથી કોઈ બીજા બાળકનું ભવિષ્ય આવા કૌભાંડનો ભોગ ન બને.
