હથિયાર સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ: પીસ્તલ-તમંચા-રિવોલ્વર-કાર્ટિસનો `જખીરો’ પકડાયો
મધ્યપ્રદેશનો સપ્લાયર પાંચ હથિયાર સાથે પકડાયા બાદ `કાર્ટેલ’માં સામેલ ચાર શખસો વધુ હથિયાર-કાર્ટિસ સાથે પકડાયા
૧૦ દેશી બનાવટની પીસ્તલ, પાંચ તમંચા અને એક દેશી બનાવટની રિવોલ્વર, ૩૦ જીવતા કાર્ટિસ કબજે: મધ્યપ્રદેશના ધાર, જસદણ, ચોટીલાના શખસોની ધરપકડ
રાજકોટમાં વર્ષોથી કાર્યરત પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) માત્ર પાસા સહિતની જ કાર્યવાહી કરી રહી હતી. આ પછી પોલીસ કમિશનર દ્વારા પીસીબીને તાકાતવર બનાવી તેને કોઈ પણ સ્થળે દરોડા પાડવાની છૂટ અપાયા બાદ અત્યાર સુધી માત્ર દારૂ-જુગાર સિવાય એક પણ સ્થળે દરોડા પડતા ન્હોતા અથવા તો પાડવામાં આવી રહ્યા ન્હોતા ત્યારે પીસીબીમાં એમ.આર.ગોંડલિયા કે જેઓ અત્યાર સુધી ઈન્ચાર્જ તરીકે જ કાર્યરત હતા. તેમણે કાયમી પીઆઈ તરીકે ચાર્જ સંભાળતાં જ ટીમે દારૂ-જુગારના દરોડામાંથી બહાર નીકળી હથિયાર સપ્લાયના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પીસીબીએ પીસ્તલ, તમંચા, રિવોલ્વર અને કાર્ટિસના જથ્થા સાથે સપ્લાયર સહિત પાંચ લોકોની ધરપકડ કરતા આ મુદ્દે ટૂંક સમયમાં હથિયાર સપ્લાયનું સૌરાષ્ટ્રવ્યાપી નેટવર્ક ખુલી શકે છે.
પીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલિયા, પીએસઆઈ આર.કે.જાડેજા, પી.બી.ત્રાજિયા, ટીમના યુવરાજસિંહ રાણા, વિજય મેતા, કુલદીપસિંહ જાડેજા સહિતે રાજકોટથી કૂવાડવા તરફ જતાં હાઈ-વે રોડ ઉપર વાંકાનેર ચોકડી નજીકથી મધ્યપ્રદેશના ધારમાં રહેતો અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે હથિયાર સપ્લાય કરનાર સકીલ સાદીક મન્સુરીને પકડી લઈ તલાશી લેતાં તેના કબજામાંથી પાંચ હથિયાર અને ૨૦ જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. આ પછી સકીલની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે અનિલ વિરાભાઈ ખેતરીયા (રહે.ચોટીલા) તેમજ દર્શન ઉર્ફે ગાવસ્કર ચંદ્રમૌલિકભાઈ ઉર્ફે અનિલભાઈ રોજાસરા (રહે.ચોટીલા)ને પણ હથિયાર આપ્યાની કબૂલાત આપતા અનિલ અને દર્શનને પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા.
દર્શન અને અનિલની પૂછપરછ કરતાં સકીલે જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા (રહે.બોઘરાવદર-જસદણ) તેમજ પ્રદીપઅનકભાઈ કરપડા (રહે.ચોટીલા)ને પણ હથિયાર આપ્યાનું જણાવતાં તે બન્નેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચેયના કબજામાંથી પોલીસે દેશી બનાવટની દસ પીસ્તલ, દેશી બનાવટના પાંચ તમંચા, એક દેશી બનાવટની રિવોલ્વર અને ૩૦ જીવતા કાર્ટિસ મળી કુલ ૧.૩૮ લાખના હથિયાર કબજે લીધા હતા.
રાજકોટ શહેરમાં કોઈને હથિયાર આપ્યાનો નનૈયો
હથિયાર સપ્લાયર સકીલ સાદીક મન્સુરી (રહે.મીરજાપુર, ધાર)ની પૂછપરછ કરતાં તે એવું રટણ કરી રહ્યો છે કે અત્યાર સુધી તેણે રાજકોટ શહેરમાં કોઈને હથિયાર વેચ્યું નથી. તે અગાઉ ચારથી પાંચ વખત હથિયારની ડિલિવરી કરી ગયાનું જણાવી રહ્યો છે. આ તમામ હથિયાર તે ચોટીલા, જસદણ સહિતના સ્થળે જ વેચતો હોવાની કહી રહ્યો છે. જો કે પોલીસને આ વાત ગળે ઉતરી રહી ન હોય આગવી ઢબે પૂછપરછ કર્યા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.
૫૦ હજારમાં પીસ્તલ, ૭૫ હજારના રિવોલ્વર વેચતા
પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં જાણવા મળ્યા પ્રમાણે સકીલ દ્વારા જયસુખ સહિતને હથિયાર ૨૫થી ૩૦ હજારમાં આપ્યા બાદ દર્શન, અનિલ, પ્રદીપ સહિતના દ્વારા બમણા ભાવે તેનું વેચાણ કરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા ૫૦ હજારમાં પીસ્તલ તો ૭૫ હજાર રૂપિયામાં રિવોલ્વર વેચી નાખવામાં આવતી હતી. જો કે ગ્રાહક આર્થિક મજબૂત હોય તો ગેંગનો ભાવ પણ મજબૂત રહેતો હતો. જ્યારે તમંચા દસેક હજારમાં વેચતા હતા.
જયસુખ-સકીલની જેલમાં મુલાકાત થઈ, પ્રદીપ-અનિલ, દર્શન જૂના ગ્રાહક
હથિયાર સપ્લાય કાર્ટેલમાં મુખ્ય આરોપી અને સપ્લાયર મધ્યપ્રદેશનો સકીલ સાદીક મન્સુરી છે. જ્યારે જયસુખ ઉર્ફે જેસો (રહે.જસદણ)ની સકીલ સાથે મુલાકાત થઈ હતી. જ્યારે દર્શન ઉર્ફે ગાવસ્કર, અનિલ વિરાભાઈ ખેતરીયા અને પ્રદીપ કરપડા પાંચેક વર્ષથી સકીલ પાસેથી હથિયાર ખરીદતા હોવાનું જાણવા મળ્યું છે. સકીલને હથિયારનો ઓર્ડર મળે એટલે તે એક થેલીમાં હથિયાર ભરી ટ્રક-બસ સહિતના વાહનોમાં બેસીને રાજકોટ આવી જતો અને હાઈ-વે ઉપર જ ડિલિવરી કરતો હતો.
અમુક વખત હથિયાર રિટર્ન પણ થતાં !
પોલીસ પૂછપરછમાં એવું પણ ખુલ્યું છે કે આ ગેંગ દ્વારા ગ્રાહકને તમંચા સહિતના હથિયાર વેચ્યા બાદ સરખી રીતે ફૂટ્યા ન હોય અથવા તો ફોડતી વખતે ફોડનારને જ હાથમાં ઈજા પહોંચી હોય તો આવા હથિયાર પરત પણ આવતા હતા અને ગ્રાહકને તેની રકમ પણ પાછી આપવી પડતી હતી. જો કે છેલ્લા દોઢેક વર્ષથી આ પ્રકારે હથિયાર રિટર્ન થયું નથી. આ ગેંગ દ્વારા હથિયાર વેચવામાં આવ્યા બાદ ખરીદનાર ગ્રાહક દ્વારા ક્યાં ક્યાં ફાયરિંગ કરવામાં આવ્યા અને ગ્રાહક કોણ કોણ છે તેની તપાસ પણ ચાલી રહી છે.
જયસુખ સામે હથિયારોની હેરાફેરી સહિતના નવ, દર્શન સામે બે અને પ્રદીપ સામે બે ગુના
પોલીસના જણાવ્યા પ્રમાણે `વેપન કાર્ટેલ’માં સામેલ જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, જસદણ, ચોટીલા, બોટાદ, આજીડેમ સહિતના પોલીસ મથકમાં હથિયારોની હેરાફેરી, હત્યાનો પ્રયાસ, દારૂની હેરાફેરી સહિતના નવ ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપીઓ ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા સામે શાપર વેરાવળ અને ગાંધીગ્રામ પોલીસ મથક ઉપરાંત પ્રદીપ કરપડા સામે ચોટીલા અને જસદણમાં બે ગુના નોંધાયેલા છે.
