ખેતી માટે વીજ પુરવઠો 8થી વધારીને 10 કલાક કરાયો
ચોમાસું ધીમું, પણ ખેડૂતોની ચિંતા હવે હળવી! રાજ્યમાં અનેક જગ્યાએ અપેક્ષિત વરસાદ ન પડતા પાકને પાણીની તંગી સર્જાઈ છે. આવી સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. હવે ખેતી અને સિંચાઈ માટે મળતો વીજ પુરવઠો દરરોજ 8 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે. બોરવેલ ચલાવીને પાક બચાવવા માંગતા ખેડૂતો માટે આ નિર્ણય સંજીવની સમાન છે.
8થી 10 કલાક: 2 કલાકનો વધારો, સિંચાઈ સરળ
રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી હતી. પાકને સમયસર પાણી ન મળતા બોરવેલ અને સિંચાઈ સાધનો પર દબાણ વધ્યું હતું. ખેડૂતોની માંગ અને કિસાન સંઘની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારે વીજ પુરવઠામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો.
અત્યાર સુધી ખેડૂતોને દૈનિક આશરે 8 કલાક વીજળી મળતી હતી, જે હવે વધારીને 10 કલાક કરવામાં આવી છે. આ વધારાના 2 કલાકથી ખેડૂતો પાકને જરૂરી પાણી આપી શકશે અને સિંચાઈનું કામ વધુ અસરકારક રીતે કરી શકશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વરસાદ વિનાના વિસ્તારોના ખેડૂતોને આનાથી સીધો ફાયદો થશે.
ઊર્જા વિભાગ એક્શનમાં, ડિસ્કોમને સૂચના
ખેડૂતોને નિયમિત અને વધારાનો વીજ પુરવઠો મળે તે માટે ઊર્જા વિભાગે રાજ્યભરની તમામ વીજ વિતરણ કંપનીઓ ડિસ્કોમને તાત્કાલિક સૂચનાઓ આપી દીધી છે. ખેતી આધારિત ગુજરાતના અર્થતંત્રમાં પાણી અને વીજળી બંને જીવાદોરી સમાન છે. વરસાદ વિલંબમાં હોય ત્યારે વીજળી જ ખેડૂતોની તાકાત બને છે.
કિસાન સંઘની માંગ સ્વીકારાઈ
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના સંગઠનો અને કિસાન સંઘ સત વધારાના વીજ પુરવઠાની માંગ કરી રહ્યા હતા. બોરવેલ પરનો ભાર વધતા વધુ વીજળીની જરૂરિયાત ઊભી થઈ હતી. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને પાક બચાવવા, વાવણી-વૃદ્ધિની કામગીરી સમયસર પૂર્ણ કરવા અને આર્થિક નુકસાનથી બચવામાં મદ મળશે. ટૂંકમાં, વરસાદ મોડો પડે તોપણ સરકારની વીજળી સમયસર પહોંચશે – એ જ ખેડૂતોની મોટી રાહત છે.
