દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું પ્રચંડ પ્રદર્શન
દેશની તબીબી પ્રવેશ પરીક્ષા ‘NEET’ માં થયેલા કથિત પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાની ગેરરીતિઓના મુદ્દે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં મોટું આંદોલન છેડાઈ ગયું છે. દિલ્હીના ઐતિહાસિક વિરોધ સ્થળ જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના નેતૃત્વમાં દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ એકઠા થવા લાગ્યા છે. દિલ્હી પોલીસે આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જ્યારે દિલ્હી હાઈકોર્ટે પણ પ્રદર્શન પર રોક લગાવવાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દેતા આંદોલનકારીઓ માટે તમામ કાનૂની માર્ગો ખુલ્લા થઈ ગયા છે.
બોસ્ટનથી સીધા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા સ્થાપક અભિજિત દીપકે
આ હાઈ-પ્રોફાઈલ પ્રદર્શનનું સુકાન સંભાળવા માટે ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અભિજિત દીપકે આજે શનિવારે સવારે જ અમેરિકાના બોસ્ટનથી નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યું છે. ભારતની ધરતી પર પગ મૂકતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દેશવાસીઓને ખાસ અપીલ કરતા લખ્યું:
“લેન્ડિંગ થઈ ગયું છે. જંતર-મંતર પર આપ સૌને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. પ્રદર્શનમાં આવો ત્યારે સાથે એક પુસ્તક અને આપણો ગૌરવશાળી તિરંગો લાવવાનું ભૂલતા નહીં! ફરજ પર તૈનાત પોલીસકર્મીઓને સહાનુભૂતિ અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે ફૂલ અર્પણ કરો. આપણે આ આંદોલન સંપૂર્ણ પ્રેમ અને શાંતિથી ચલાવવાનું છે.”
આ પણ વાંચો: તબીબી જગતમાં ક્રાંતિ: વિશ્વમાં પ્રથમ વખત AI ની મદદથી બની વેક્સિન
આંદોલનનો મુખ્ય એજન્ડા: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પદ છોડે
CJP ના પ્રવક્તા આશુતોષ રાંકા અને વરુણ દાસે જણાવ્યું હતું કે, આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની શિક્ષણ વ્યવસ્થા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની વિશ્વસનીયતા પર લાગેલા ડાઘા સામે અવાજ ઉઠાવવાનો છે. સંગઠને છેલ્લા એક મહિનામાં માનસિક તણાવને કારણે ૬ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો કટોકટીપૂર્ણ મુદ્દો ઉઠાવીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. આ સાથે જ સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ દેશના કરોડો વિદ્યાર્થીઓનો ભરોસો પાછો જીતવા માટે આ વિષયમાં કડક કદમ ઉઠાવે.
નોંધનીય છે કે, જાણીતા શિક્ષણ સુધારક અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પણ અગાઉ જાહેરાત કરી હતી કે જો સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો તેઓ પણ આ પ્રદર્શનના સમર્થનમાં જોડાશે.
હાઈ-પ્રોફાઈલ સુરક્ષા: સેન્ટ્રલ દિલ્હી ૧૨ ઝોનમાં વહેંચાયું
આ મોટા જનસમૂહના પ્રદર્શનને પગલે દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે:
મંત્રીઓના નિવાસે લોખંડી બંદોબસ્ત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનોની આસપાસ સુરક્ષા કવચ સખત કરી દેવાયું છે.
૧૨ ડીસીપી તૈનાત: સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા સેન્ટ્રલ દિલ્હીને ૧૨ અલગ-અલગ ઝોનમાં વહેંચીને દરેક ઝોનની જવાબદારી એક-એક ડીસીપી (DCP) રેન્કના અધિકારીને સોંપાઈ છે.
૧૦૦૦થી વધુ જવાનો: લ્યુટિયન્સ દિલ્હી અને સંસદ માર્ગ વિસ્તારમાં ૧,૦૦૦ થી વધુ પોલીસ જવાનો ગોઠવી દેવાયા છે. જોકે, પોલીસ હેડક્વાર્ટર દ્વારા પ્રદર્શનકારીઓ સાથે બિનજરૂરી ટકરાવ ટાળવાની કડક સૂચના અપાઈ છે.
પ્રદર્શનકારીઓ માટે CJP ની ખાસ એડવાઈઝરી
ભીષણ ગરમી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંગઠન દ્વારા પ્રદર્શનમાં જોડાનારા વિદ્યાર્થીઓ માટે વિશેષ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે:
શું કરવું: પ્રદર્શન દરમિયાન ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવું, સનસ્ક્રીન લગાવવું, માથા પર ટોપી પહેરવી અને તમામ ગતિવિધિઓ કેમેરામાં રેકોર્ડ કરવી. કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવી.
શું ન કરવું: કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કે વિવાદમાં ન પડવું, હિંસાથી દૂર રહેવું, બને ત્યાં સુધી એકલા આવવાના બદલે ગ્રુપમાં આવવું અને ભૂખ્યા પેટે પ્રદર્શનમાં સામેલ ન થવું.
આજે સવારે ૯ વાગ્યાથી જંતર-મંતર ખાતે શરૂ થયેલા આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા છે.
