રાજકોટ મહાપાલિકાની ચૂંટણી : 2021માં 12 કોર્પોરેટરો જ રિપીટ થયા હતા: આ વખતે શું તે સો મણનો સવાલ
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ગમે તે દિવસે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે તેમ છે ત્યારે ખાસ કરીને ભાજપમાં આ વખતે કોને ટિકિટ મળશે અને કોણ કપાશે તેની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે. આમ તો ટિકિટ માટે 60 વર્ષનું વયબાંધણું અને એક વ્યક્તિને એક જ પદ જેવો ક્રાઈટએરિયા હોવાને લીધે ઘણા લોકો ચારણીમાંથી ચળાઈ ગયા છે તો પણ ઘણા સિટીંગ કોર્પોરેટરોને પોતે રીપીટ થશે કે કેમ તેનો ભરોસો નથી. આ બધા અત્યારે 2021માં જે સિનારિયો થયો હતો તેને યાદ કરી રહ્યા છે. ગત ચૂંટણીમાં માત્ર 12 સિટીંગ કોર્પોરેટરોને જ રીપીટ કર્યા હતા અને અનેક મોટા માથા કપાઈ ગયા હતા.
2021માં યોજાયેલી રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં શું થયું હતું તે જોઈએ તો એટલે કે અતિતમાં ડોકિયું કર્યું તો ઘણી રસપ્રદ વાત રીકોલ થઈ હતી. એ વખતે કોરોનાનો સમય હતો અને ભાજપે 4 ફેબ્રુઆરી-2021ના રોજ ઉમેદવારોની જાહેરાત કરી હતી. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી હતી અને નામની યાદી બે દિવસ પહેલા જ જાહેર થઈ હતી. ટૂંકમાં છેલ્લે સુધી બધાને ઉચાટ રહ્યો હતો અને જ્યારે લિસ્ટ સામે આવ્યું ત્યારે ભલભલા સિટીંગ કોર્પોરેટરોની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. માત્ર 12 કોર્પોરેટરોને જ રિપીટ કરવામાં આવ્યા હતા અને 28 સિટીંગ કોર્પોરેટરોની ટિકિટ કપાઈ ગઈ હતી.
જેમની ટિકિટ કપાઈ ગઈ હતી તેમાં વોર્ડ નંબર 1-આશિષ વાગડિયા, બાબુભાઈ આહિર અને અંજના મોરજરિયા, વોર્ડ નંબર 2-સોફીયા દલ, વોર્ડ નંબર 4-અશ્વિન મોલીયા, વોર્ડ નંબર 5-અનિલ રાઠોડ, દીપ્તિબેન પનારા, અરવિંદ રૈયાણી અને દક્ષાબેન ભેસણિયા, વોર્ડ નંબર 6-દલસુખભાઈ જાગાણી, મુકેશ રાદડિયા અને સજુબેન રબારી, વોર્ડ નંબર 7-કશ્યપ શુકલ, હિરલબેન મહેતા, મિનાબેન પારેખ, અજય પરમાર, વોર્ડ નંબર 8-નિતિન ભારધ્વાજ, રાજુભાઈ અઘેરા, જાગૃતિબેન ઘાડિયા અને વિજયાબેન વાછાણી, વોર્ડ નંબર 9-કમલેશ મિરાણી, રૂપાબેન શિલુ અને શિલ્પાબેન જાવીયા, વોર્ડ નંબર 10-અશ્વિન ભોરણિયા અને બિનાબેન આચાર્ય અને વોર્ડ નંબર 14-ઉદય કાનગડ, જયમન ઉપાધ્યાય અને કિરણબેન સોરઠિયાનો સમાવેશ થતો હતો.
આવા વજનદાર નેતાઓને ફરીથી ટિકિટ ન આપીને પાર્ટીએ ઘણું આશ્ચર્ય સર્જ્યું હતું અને તરેહતરેહની ચર્ચા શરૂ થઈ હતી. પાર્ટીની અંદરના જ કેટલાક એવો ગણગણાટ કરતા હતા કે એન્ટી-ઇન્કમબન્સીના ડરને લીધે મોટા માથા કપાયા છે. તો જે કપાયા હતા તે બહાર હસતું મોઢું રાખીને અંદર અંદર રોષ વ્યક્ત કરતા હતા.
2021માં 21મી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને 23મીએ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઈવીએમ ખુલ્યા ત્યારે ભાજપના નેતાઓએ કરેલા દાવા મુજબ જ કમળની તરફેણમાં મતોનો વરસાદ થયો હતો. રાજકોટમાં કુલ 47.27 ટકા મતદાન નોંધાયું હતું અને ભાજપને કુલ 72 બેઠકમાંથી 68 બેઠક પ્રાપ્ત થઈ હતી. ભાજપનો વોટ શેર 53.7 ટકા સુધી પહોંચી ગયો હતો. કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી હતી અને તેનો વોટ શેર 24.81 ટકા હતો. આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નહોતી પરંતુ તેને 17.04 ટકા મત મળ્યા હતા જ્યારે અપક્ષને 4.09 ટકા મત મળ્યા હતા. આમ, ભાજપનો તોતિંગ બહુમતિ સાથે વિજય થયો હતો અને વધુ એક વખત ભાજપ સત્તામાં આવ્યો હતો.
જ્ઞાતિ આધારે અપાઈ હતી ટિકિટ
રાજકોટમાં જ્ઞાતિના જોર કરતા કમળનું જોર વધારે છે આમ છતાં પાર્ટીએ જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને ટિકિટની વહેંચણી કરી હતી. સૌથી વધુ 14 ટિકિટ લેઉવા પટેલ સમાજને આપવામાં આવી હતી. જ્ઞાતિ પ્રમાણે જોઈએ તો બ્રાહ્મણ સમાજને -8, લેઉવા પટેલ -14, કડવા પટેલ -6, જૈન -2, દરબાર -7, રાજપૂત -2, કોળી -2, કડીયા-કુંભાર -2, ભરવાડ -4, આહીર -8, SC-ST -6, લોહાણા -3, સિંધી -1, ગોહિલ -1, જાદવ -1, લાઠીયા -1, બાવાજી -1, સોની -1, મકવાણા -2 એમ 72 ટિકિટ આપવામાં આવી હતી.
મહાપાલિકા-પંચાયતોની અલગ અલગ તારીખનો વિવાદ હતો
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન હતું અને 23 ફેબ્રુઆરી મતગણતરી થઈ હતી. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન હતું જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવી હતી. સામાન્ય રીતે મત ગણતરી એક સાથે થતી હોય છે પણ 2021માં મત ગણતરી પણ અલગ અલગ દિવસે રાખવામાં આવી હતી અને તેનો તે વખતના કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ વિરોધ પણ કર્યો હતો સાથે સાથે કોર્ટમાં જવાની ચીમકી પણ આપી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપે 2015ના કોર્ટના આદેશને અવગણીને મત ગણતરીની તારીખો અલગ અલગ જાહેર કરી છે.
આ વખતે પણ મહાપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી સાથે યોજાવાની છે ત્યારે બધું મતદાન એક જ તબક્કામાં થાય છે કે બે તબક્કામાં થાય છે તે જોવાનું રહે છે.
