T-20 વર્લ્ડકપનો સેમિ ફાઈનલ-ફાઈનલ ક્યાં રમાશે તે નક્કી નથી, તે પહેલાં ટિકિટનું વેચાણ શરૂ! ક્રિકેટરસિકો પણ મુંઝાયા
ટી-20 વર્લ્ડકપ-2026ના સેમિફાઈનલ અને ફાઈનલ મેચની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ માટે હજુ સુધી સ્થળ નક્કી થયા નથી. આઈસીસીએ જણાવ્યું કે નોકઆઉટ મેચ માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ક્રિકેટરસિકો એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે સ્થળ જાણ્યા વગર ટિકિટ ખરીદવી કેમ? મતલબ કે હજુ સુધી એ નક્કી નથી કે સેમિફાઈનલ અને ફાઈનલ મુકાબલો ક્યાં રમાવાનો છે.
આઈસીસીએ જણાવ્યું કે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ખરાબ સંબંધને કારણે બે દેશ ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યા છે. સેમિફાઈનલ મેચ માટે કોલકત્તા અને મુંબઈ નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન નોકઆઉટ માટે ક્વોલિફાય કરે છે તો તેની મેચ કોલંબોમાં રમાશે. હાઈબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાને વર્લ્ડકપની તમામ મેચ શ્રીલંકામાં રમી છે. હવે જો પાકિસ્તાન સેમિફાઈનલમાં ન પહોંચ્યું તો બન્ને સેમિફાઈનલ કોલકત્તા અને મુંબઈમાં રમાશે.
જો શ્રીલંકા પણ સેમિફાઈનલમાં પહોંચ્યું તો પોતાની મેચ કોલંબોમાં રમશે. જો ભારત અને શ્રીલંકા વચ્ચે સેમિફાઈનલ રમાય છે તો કોલકત્તામાં આ મુકાબલો થશે. સેમિફાઈનલ-1 કાં તો કોલંબોમાં રમાશે કાં તો કોલકત્તામાં પરંતુ કઈ ટીમ ક્વોલિફાય થાય છે તેના આધાર પર સ્થળ નક્કી કરાશે. સેમિફાઈનલ-2 મુંબઈના વાનખેડેમાં રમાશે તે નક્કી છે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું તો મેચ કોલંબોમાં અને ન પહોંચ્યું તો અમદાવાદમાં રમાશે.
