મત લેનારાઓ માનવતા પણ ચૂક્યા-દુ:ખની ઘડીએ સહારો પણ ન બન્યા! ચૂંટાયેલા નગરસેવકોથી લઇ ધારાસભ્યો કે સ્થાનિક આગેવાનો ફરક્યા પણ નહીં
રાજકોટ શહેરમાં સોમવારે મેગા ડિમોલિશનમાં દબાણો દૂર થયા, રસ્તા ઉઘાડા થયા, સાથોસાથ જેઓના મતોથી ચૂંટાયા કે મતો લેનારાઓની માનવતા પણ દૂર થઈ કે ઉઘાડી પડી. સરકારી જમીનો પર દબાણો કર્યા, મિલકતો ઉભી કરી તે તુરંત અટકાવવાનું કામ તંત્ર કે કાયદાને અવરોધરૂપ થવાનું માની શકાય પરંતુ જે 1450પરિવારો બેઘર બન્યા (મકાનો, મિલકતો તૂટી) તેવા પરિવારોને ખરા સમયે સઘિયારો આપવા પણ નગરસેવકો, ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો કે ભાજપ, કોંગ્રેસ, આપના કોઈ નેતા, નેતીઓ ફરક્યા નહીં. કદાચ ફૂડ પેકેટો કે રાહત સામગ્રીઓ પણ આપી શક્યા હોત પણ આવી માનવતા પણ ચૂકી ગયા. જેઓના આશિયાના છીનવાયા તેમને દિલાસાના બે શબ્દો કહ્યા કે પડખે ઉભા રહ્યા હોત તો પણ શ્રમિકો પરિવારોને હૈયે ટાઢક વળી હોત.
એક મકાન નહીં પડવા દઈએ, બુલડોઝર આડે સુઈ જશું આવા બરાડા પાડનારી કોંગ્રેસ અને જે તે સમયે વિસ્તારોમાં ફોટા પડાવનારા કે દોડી ગયેલા નગરસેવકોએ ઠાલા વચનો આપ્યા કે અમે તો તમારી સાથે જ છીએ, આમ આદમી પાર્ટી પણ આમ આદમી સાથે ન દેખાઈ. હા, એ ચોક્કસપણે કહી જ શકાય કે દબાણો કર્યા હતા એ ગેરકાયદેસર હતા જ અને એ ભૂલ દબાણકર્તાઓની ગણી શકાય પરંતુ એ સમયે દબાણો કરનારાઓ પૈકી ઘણા એવા હશે કે તેમણે એ સરકારી, મહાપાલિકાની જમીન પર ખડી દીધેલા મકાન, મિલકત કોઈને કોઈ રસ્તા, ઓછા ભાવે વેચીને રોકડી પણ કરી લીધી હશે. શ્રમિકો, મજદૂર માનવીને એ સમયે એવું પણ હશે કે સસ્તામાં રહેવાનો આસરો મળે છે તો લાવો આવું પાછું, ઉધાર ઉછીના કરીને ઘરનું ઘર આશિયાનો કરી લઈએ.
લાંબા અરસા, દશકાઓથી ઉભેલા જંગલેશ્વર વિસ્તારના એ દબાણો તોડી પાડવા પ્રથમ કલેક્ટર તંત્રએ કવાયત કરી પરંતુ હાલ એ 1300થી વધુ દબાણો, મિલકતોને ત્રણ માસનો હાઈકોર્ટનો સ્ટે મળ્યો એટલે બચી ગયા. (કદાચ હજુ લટકતી તલવાર તો ખરી) પરંતુ મહાપાલિકાની હસ્તગતની 32000 ચોરસ મીટર જમીન પર ઉભેલા 1450થી વધુ ગેરકાયદે દબાણો (મકાનો, દુકાનો, ઓરડીઓ કે આવી મિલકતો)નું તા 23-2ને સોમવારે સવારથી મેગા ડિમોલિશન થયું.
આ પણ વાંચો:રાજકોટના જંગલેશ્વરમાં 26મીથી રોડ પહોળો કરવાનું શરૂ કરાશે: ખાતમુહૂર્ત કરી દસ જ દિવસમાં રોડ 50 ફૂટનો કરવાની મહાપાલિકાની જાહેરાત
મહાપાલિકાએ અગાઉ મિલકતો ખાલી કરી દેવા નોટિસો અને મહેતલ આપી જે મુજબ 70 ટકા જેવી મિલકતો તો લોકો સ્વયંભૂ પોતાની ઘરવખરી કે મકાનોમાં કામ આવે તેવો સામાન લઈને વિસ્થાપિત થઈ ગયા હતા જેથી ડિમોલિશનમાં મહાપાલિકાને સરળતા જરૂર રહી.
અરે, મિલકતો પડતી રોકવા નહીં કે કાયદો હાથમાં લેવા માટે નહીં પરંતુ માનવતા મહેકાવવા કે છત પડી છે તો રાંધ્યા ધાન રઝળ્યા જેવા હાલ આવા શ્રમિક પરિવારોના થયા હોય. ઘરમાં ચુલા ન સળગે તેવી દુ:ખભરી સ્થિતિમાં મત લેનારાઓ ફૂડ પેકેટો કે આવી ત્વરીતપણે જરૂરી રાહત સામગ્રી લઈને તો વિસ્તારોમાં આવી શક્તા હતા ને. આવા સવાલો ત્યાંના સ્થાનિકોમાં ઉઠ્યા વિના રહ્યા નહીં હોય કે આખરે તો બધા મત માટેના મસિહાઓ નીકળ્યા, મકાનો પડતા રોકવા નહીં પણ આવા કપરા સમયે માત્ર બે ટંકના ભોજન કે આવી વ્યવસ્થા માટે પણ આવ્યા હોત તો એમ થાત કે મકાનો આપણે જાણતા-અજાણતા સરકારી જમીન પર ઉભા કર્યા તો પડે એ આ લોકો (રાજકારણીઓ) રોકાવી ન શકે એ તો સમજ્યા પણ શું ડિમોલિશનમાં માનવતા દાખવીને કોઈ મદદ પણ ન કરી શકે ? સરવાળે તો સૌ મત માટેના સગા નીકળ્યા. એવા વલોપાત ચોક્કસપણે વિસ્તારમાં હશે જ.
મકાનમાંથી ઘરવખરી ફેરવવી, આશિયાના ખાલી કરવામાં રાંધવાનો સમય ન હોય કે રડતી આંખે રસોઈ, ચુલા પણ ન સળગે, આવા સમયે જે રીતે કોરોના કાળમાં રોજબરોજ ભોજનથી લઈ અન્ય મદદ મળતી હતી એ મુજબ ડિમોલિલશનના કપરા સમયે એક દિવસ ભોજન કે આવી વ્યવસ્થા કરી શક્યા હોત પણ આખરે તો રાજકારણીઓને આવા શબ્દો ત્યાંના રહેવાસીઓમાં નીકળ્યા જ હશે.
ગાજ્યા મેહ વરસ્યા નહીં !!
તંત્રને જે રીતે ભાજપના નગરસેવકો, કોંગ્રેસ અને આપ ડિમોલિશન સામે એક્ટિવ હતા તે મુજબ ડર હતો કે કદાચ ડિમોલિશન સમયે રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ કોઈ અડચણ ઉભી કરે જેને લઈને સુરક્ષા વ્યવસ્થા સંગીન કરાઈ હતી. ગાજ્યા મેહ વરસે નહીં એ રીતે એક પણ રાજકીય પાર્ટીના આગેવાનો સવારથી દેખાયા, ડોકાયા ન હતા. જેઓને આખરી ઘડી સુધી ઇંતજાર હતો અને ચાતક નજરે જેઓ રાહ જોઈ રહ્યા હતા કે આજે તો બધા મદદે આવશે પરંતુ કોઈ રાજકીય નેતાઓ, અગ્રણીઓ, સ્થાનિનક નગરસેવકો, આગેવાનો ગાજ્યા મેહ વરસ્યા નહીંની માફક ડોકાયા નહોતા.
