કૃષ્ણ વન્દે જગતગુરૂ
આજે કૃષ્ણમય થવાનું, કહાન ઘેલાં થવાનું પર્વ
ક્યારેક પૂર્ણ ચંદ્રની શીતલ ઉજ્જવલિત રાત્રે પોતાના મધુર અઘરો પર બંસરી ધારણ કરીને ભુવનમોહિની પાથરતા કૃષ્ણનો જાદુ આજે હજારો વર્ષો પછી પણ યથાવત છે. એમની મંત્રમુગ્ધ કરી દેતી સુંદરતા ઉપર કવિઓએ હજારો કાવ્યો રચ્યા છે.બંસીધર કૃષ્ણને યાર અને સનમ ગણીને પ્રેમમાં પડેલા ભક્ત કવિ લાલ એ લખ્યું હતું,
“જલવા મેં મેરે યાર કે, કયા કયા ખૂબી ભરી
બાંકી અદા તિરછી નિગાહ, બંસી અધર ધરી”
સંસ્કૃત ભાષામાં વર્ણન છે,
मुकुटान्त नीरद शोभितकुण्डला शुभ्र नीरदाभ शृङ्गेरुहोत्तमाङ्के। लसत् कुण्डलामोदमोद बालकेन्द्र बालमुकुटैः भ्रूबदांत युगेन्द्रम्। सकृद्दृषद्दृगणमृग्यमाणबुद्धिप्रायैः प्राग्ज्य ज्वलालंबदाम्बरावृतम्। वसन्त रुची सुरद्रुम चारु चारु श्रियैर्नीलोऽङ्ग वर्ण इह तेऽधिकोऽपि वाणी।
તેમનું માથું મુગટથી સુશોભિત છે, શુદ્ધ વરસાદના ટીપાંની જેમ ચમકતી કાનની બુટ્ટીઓ રમતિયાળ રીતે ડોલતી હોય છે. તેમની આંખો યુવાન હરણ જેવી છે.
તેમનું તેજસ્વી સ્મિત, જે ચંદ્રની સુંદરતાને વટાવી જાય છે, તે મોતીથી શણગારેલા તેના મોહક હોઠને પ્રગટ કરે છે.વસંતના સૌંદર્ય સાથે, તમામ પ્રકારની સુંદર સંપત્તિથી શોભિત, તેમનું શરીર વાદળી કમળ જેવું શ્યામ છે, અને તેમની વાણી સુમધુર છે.
કૃષ્ણ અદભુત છે.અવર્ણનીય છે.અલૌકિક છે. એમની જીવન લીલા અદ્વિતીય છે. બાળ સખાઓ સંગ ગાયો ચરાવતા અને ગોપીઓ સંગ રાસ રચતા કૃષ્ણ ગીતાના રાજવિદ્યા યોગમાં કહે છે,”હું જ અમૃત અને મૃત્યુ છું” અને વિશ્વરૂપ દર્શન યોગ માં ભગવાન કહે છે,
“હું લોકોનો નાશ કરનારો મહાકાળ છું”
કુરુક્ષેત્રના મદાનમાં તેઓ અર્જનુંને પોતાનું સ્વરૂપ સમજાવે છે,
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च।
‘હે અર્જુન, હું સર્વ જીવોના હૃદયમાં સ્થિત આત્મા છું. હું સર્વ જીવોનો આરંભ, મધ્ય અને અંત છું’.
હિંદુઓએ કૃષ્ણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માન્યા છે.કૃષ્ણ જેવું પાત્ર એક માનવ તરીકે તો શું પણ યુગવતાર તરીકે પણ મળવું અસંભવ છે.તેમનું દરેક રૂપ મનમોહક છે.યશોદા માતા માટે એ વ્હાલસોયો,નટખટ,શરારતી મીઠડો બાળક છે જેને દોરડા વડે બાંધી શકાય છે.વૃંદાવનની ગોવાલણો માટે એ છાને પગલે ઘરમાં ઘુસી જતો મટકીફોડ માખણચોર છે.ગોપીઓ માટે એ અપ્રતિમ રૂપમધુરો અને મધુરા અઘરો વડે બાંસુરીની ધૂન રેલાવી સાનભાન ભુલાવી દે તેવી ત્રિભુવન મોહિની પાથરતો કહાન છે.ગાયો અને ગોપબાળો માટે એ ગોવર્ધનધારી રક્ષક ભેરૂબંધ છે.કંસ અને કાલીનાગ માટે એ કાળ છે.રાધા માટે એ યુગોયુગોનો પ્રીતમ છે.અર્જુન અને દ્રૌપદી માટે એ આત્મીય સખો છે.કૃષ્ણ કોમળ છે તો વજ્ર જેવા મજબૂત પણ છે.કૃષ્ણ સાક્ષાત પ્રેમ છે,કરુણાનો સાગર છે પણ જરૂર પડે તો કઠોર પણ બની શકે છે,વધ પણ કરી શકે છે.કૃષ્ણને કોઈ કાળમાં બાંધી ન શકાય,કૃષ્ણની વ્યાખ્યા ન થઈ શકે.કૃષ્ણને કોઈ ઢાંચામાં ઢાળી ન શકાય.કૃષ્ણ અનંત છે.અનંતને કોઈ વર્તુળમાં કેદ ન કરી શકાય.
કૃષ્ણ અકળ છે.દોરડે બાંધનાર માતા યશોદાને એ બ્રહ્માંડ દર્શન કરાવે છે અને યુદ્ધના મેદાનમાં વિષાદગ્રસ્ત અર્જુનને વિરાટ દર્શન કરાવી ગીતાનો ઉપદેશ પણ આપે છે.બધા અંતિમો જાણે કે કૃષ્ણમાં સમાઈ ગયા છે.દ્રૌપદીના ચીર પૂરતા કે બાળસખા સુદામાના મુઠી તાંદુલ આરોગી તેનું દારિદ્રય દૂર કરતાં કૃષ્ણ એક ક્ષણમાં શિશુપાલનું માથું ધડથી ઉતારી લેવામાં અચકાતા નથી.ગોપીઓ સાથે રાસક્રીડા કરતો નિર્દોષ બાલકૃષ્ણ મુષ્ટિપ્રહાર વડે મામા કંસને મારવામાં ખચકાટ અનુભવતો નથી.
કૃષ્ણએ જીવનને સમગ્રપણે સ્વીકાર્યું છે.તેમના જેવું સાહજીક અને નૈસર્ગિક પાત્ર શોધ્યું જડે તેમ નથી.કૃષ્ણ સમો ધર્મપુરુષ પણ મળવો અસંભવ છે.”યતો કૃષ્ણ સ્તતો જય”.કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય,ધર્મ હોય ત્યાં વિજય હોય.મહાભારતના યુદ્ધ પહેલાં દુર્યોધન કૃષ્ણ પાસે તેમની સેના માંગે છે.અર્જુન એકલા કૃષ્ણને માંગે છે.કારણ કૃષ્ણ પરમ ધર્મ છે.અને અંતે તો ધર્મનો જ જય થાય છે.કૃષ્ણ ધર્મ પણ સમજવા જેવો છે.ધર્મરાજા યુધિષ્ઠિરે યુદ્ધ ટાળવાના હેતુથી માત્ર પાંચ ગામ મળે તો પણ સંધિ કરવા માટેની તૈયારી બતાવી ત્યારે કૃષ્ણ ભગવાન તેમને ધર્મ નો અર્થ સમજાવે છે. તેઓ ધર્મરાજાને કહે છે કે તમે યુદ્ધ કર્યા વિના જે મળી જાય તે લેવા તૈયાર છો પણ ક્ષાત્રધર્મ અનુસાર તે યોગ્ય નથી. ક્ષત્રિયનો ધર્મ ભીખ માંગવાનો નથી. આ દીનતા તમને શોભતી નથી.અધર્મ સામે લડવું એ કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિએ સૌથી મોટો ધર્મ હતો. પછી તેઓ યુધિષ્ઠિરને દ્યુતની યાદ અપાવી ને કહે છે,’દુ:શાસન અસહાય દ્રૌપદીને વાળ પકડીને સભામાં ખેંચી લાવ્યો ત્યારે ધર્મથી બંધાઈને તમે તમારા ભાઈઓને રોકી રાખ્યા હતા એ ધર્મ નહોતો.દુશાસન જેવા દૃષ્ટ અને અધમ પુરુષને તો શિક્ષા કરવી જ જોઈએ’. મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચેનું હતું. અધર્મને સહેલાઈથી હરાવી શકાતો નથી. ક્યારેક તો તે ધર્મથી પણ વધુ શક્તિશાળી દીસે છે. પણ યોગેશ્વર કૃષ્ણ જ્યારે ધર્મરથના સારથી હોય ત્યારે ધર્મનો પરાજય સંભવ નથી. કૃષ્ણ યુદ્ધખોર નથી. પણ સાથેજ ડરપોક પલાયનવાદી પણ નથી.અર્ધા રાજ્યને બદલે પાંડવો માટે માત્ર પાંચ ગામની માંગણી દુર્યોધને ન સ્વીકારી ત્યારે એ ક્ષણેજ તેઓ યુદ્ધની ઘોષણા કરી શકે છે અને સારથી બનીને પાંડવોને વિજય પણ અપાવે છે. મહાભારતના કૃષ્ણ અત્યારે સહુથી વધુ પ્રસ્તુત છે. અધર્મને હણવાની લડાઈ કેવી રીતે લડાય તે કૃષ્ણએ શીખવ્યું છે. કૃષ્ણ વ્યવહારુ છે.ધર્મની પુન:સ્થાપના માટે તેઓ શસ્ત્રો ન ઉપાડવાની પોતાની પ્રતિજ્ઞા પણ તોડે છે. ભીષ્મને નિષ્ક્રિય કરવા શિખંડીને આગળ ધરવાની કૂટનીતિ પણ અજમાવે છે. કર્ણના રથનું પેઇડું જમીનમાં ખૂંપી જાય છે ત્યારે જ વાર કરવા માટે અર્જુનને ઉશ્કેરે પણ છે. દ્રોણને નાસીપાસ કરવા માટે અશ્વસ્તથામા મર્યો એવું દ્વિઅર્થી વાક્ય બોલવા ધર્મરાજા યુધિષ્ઠિરને મજબૂર કરવામાં પણ તેમને સંકોચ નથી થતો. અને ગદાયુદ્ધમાં માહીર દુર્યોધનને પરાસ્ત કરવા એની જાંઘ પર પ્રહાર કરવાનો ભીમને ઈશારો પણ કરે છે.
કૃષ્ણની જીવનલીલામાં સમગ્ર સંસારચક્ર નો સાર સમાઈ ગયો છે.એક માનવીના જીવનમાં બની શકે એ બધું એમાં બન્યું છે.એમના જીવનમાં સુખ છે તો સંતાપ પણ છે.આનંદ છે તો વિપદા પણ છે.મિલન પણ છે અને વિરહ પણ છે.મનુષ્ય અવતાર ધરીને સાક્ષાત ઈશ્વર પણ પૃથ્વીના પટ ઉપર જન્મ લે તો તેમને પણ આ બધા સુખ દુઃખ ભોગવવા પડે એ બોધ કૃષ્ણનું જીવનચરિત્ર આપે છે.અને નિષ્કામ કર્મ દ્વારા નિસ્પૃહી બની એ જીવન કેવી રીતે જીવાય એ બોધ પણ એમના જીવનચરિત્રમાંથી જ મળે છે.
આવા આ કૃષ્ણ ભગવાનનો આજે પ્રાગટ્ય દિવસ છે. કૃષ્ણમય થવાનું, કહાનઘેલાં થવાનું પર્વ છે.પણ કૃષ્ણને બુધ્ધિ કે તર્કથી ન પામી શકાય.કૃષ્ણને અનુભવવા હોય,તેમનીસાથે એકાકાર સાધવો હોય તો કૃષ્ણના પ્રેમમાં પડવું પડે.કૃષ્ણ સાથે સંવાદ કરવો હોય તો પોતાના સંતાનમાં કાનુડાને નિહાળતી જનેતાનો વાત્સલ્ય ભાવ જોઈએ.કૃષ્ણનું સાંનિધ્ય અનુભવવું હોય તો તેની મોરલીના સુર પર ઓળઘોળ થઈને સાન ભાન ભૂલી જતાં ગોપબાળ અને ગોપીઓનો સખાભાવ જોઈએ. પોતાના ઘરે બાલકૃષ્ણને ઝુલાવતા,સ્નાન કરાવતા,પોતાના હાથે કોળિયા ધરતાં,કૃષ્ણને કાલાવાલા કરતાં અને તેને સાક્ષાત-સન્મુખ સમજીને સેવા કરતાં કોઈ વૈષ્ણવનો પ્રેમભાવ જોઈએ અને મારો કાળિયો ઠાકોર બેઠો છે પછી ચિંતા શેની એવું કહેનારા ભોળયા ભક્ત સમી શ્રદ્ધા જોઈએ,શરણાગતભાવ જોઈએ.કૃષ્ણમાં લીન થયેલી મીરાં ની માફક એકાદ ક્ષણ પણ એના પ્રેમમાં રોમ રોમ નર્તન કરી જાય તો કૃષ્ણ ની અનુભુતી થાય.કૃષ્ણને શબ્દોથી સમજાવી શકાય,વાતોથી વર્ણવી શકાય પણ કૃષ્ણની અનુભુતી તો પ્રેમ હોય તો જ થાય.ક્યારેક, આખા જીવનમાં એક ક્ષણ પણ કૃષ્ણ મળી જાય,કૃષ્ણ સ્પર્શી જાય,એના અમીના બે ચાર બુંદનો પણ રસાસ્વાદ માણવા મળે તો જીવન અમૃતમય બની જાય
અને છેલ્લે પ્રાર્થના:”જે સ્વયં પ્રકાશી છે,સર્વના સાક્ષી છે,વાણી, મન અને ચિતથી જે દૂર છે,તે પરમાત્માને હું નમસ્કાર કરું છું.
તમે સમસ્તના મૂળ કારણ છો, તમારું કોઈ કારણ નથી,છતાં તમે અદભુત કારણરૂપ છો.તમે સર્વ શાસ્ત્રોના મહાન સમુદ્ર છો,મોક્ષ સ્વરૂપ અને સંતજનોના આશ્રય છો.તમને હું નમસ્કાર કરું છું…(ભાગવત).
બધાને જય શ્રી કૃષ્ણ.
