રાહુલ ગાંધીએ શિખ સમુદાયનું અપમાન કર્યું છે: પીએમ મોદી
વડાપ્રધાને રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપી કોંગી સહિતના વિપક્ષની ટીકા કરી:
લોકસભામાં કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને બંધારણનું અપમાન કર્યાનો આરોપ: ભારતનો
વિકાસદર દુનિયામાં સૌથી ઉંચો: કુલ નવ મોટા દેશ સાથે ટે્રડ ડીલ થઇ
સંસદના ભારે હંગામેદાર રહેલા બજેટ સત્ર દરમિયાન ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. અને કોંગ્રેસ સહિતના વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. લોકસભામાં બુધવારે વિપક્ષ દ્વારા ભયંકર ગેરવર્તનનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું હતું કે, લોકસભામાં જે કંઇ બન્યું હતું કે અત્યંત દર્દનાક હતું. કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને બંધારણનું અપમાન કર્યુ. એજ રીતે કેન્દ્રીય મંત્રી રવનીતસિંઘ બિટ્ટુને રાહુલ ગાંધીએ ગદ્દાર દોસ્ત કહ્યા હતાં તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન કહ્યું હતું કે, કોંગ્રેસના યુવરાજે આમ કહીને સમગ્ર શીખ કોમનું અપમાન કર્યુ હતું.
વડાપ્રધાને ભારતની આર્થિક પ્રગતિ અને વિશ્વમાં વ્યાપાર વિકાસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે ભારતે કરેલી ટે્રડ ડીલના દુનિયાભરમાં વખાણ થઇ રહ્યા છે. પાછલા દિવસોમાં ભારતે દુનિયાના ૯ મોટા દેશો સાથે ટે્રડ ડીલ કરી છે. આ ટે્રડ ડીલો બાદ ભારતના યુવાનોને સૌથી મોટો લાભ થશે. તેમના માટે આખા વિશ્વનું બજાર ખુલી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું હતું કે આજે ભારત ઝડપથી દુનિયામાં આગળ વધી રહ્યું છે. દુનિયા એક નવા વર્લ્ડ ઓર્ડર તરફ આગળ વધી રહી છે અને તેનો ઝુકાવ ભારત તરફ રહ્યો છે. આજે ભારતનો વિકાસદર દુનિયામાં સૌથી ઉંચો છે. ભારત વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બન્યો છે. કોંગ્રેસના રાજમાં અર્થતંત્ર અને બેંકિંગ સેક્ટરની ઘોર ખોદી દેવામાં આવી હતી. અમારો વધુ પડતો સમય એ લોકોની ભુલ સુધારવામાં જ જાય છે. એમણે કહ્યું કે મે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરી હતી. ત્યારે જાપાન પાર્ટનર હતું આજે દુનિયાના મોટા મોટા દેશ ભારત સાથે ટે્રડ ડીલ કરવા આતુર થયા છે.
એનડીએ સરકારના કામ અને સિધ્ધીનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે, અમે મુદ્રા યોજનાના માધ્યમથી ૩૦ લાખ કરોડ રૂપિયા આપ્યા છે અને તેનાથી યુવાનો અને યુવતીઓએ નાના-મોટા બિઝનેસ શરૂ કર્યા છે. અમે બેંકોમાં એનપીએ ઘટાડીને ૧ ટકાથી નીચે લાવી દીધું છે. નાના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં રૂા. ૪ લાખ કરોડ આપ્યા છે. કોંગીના રાજમાં બેંકો તબાહ થઇ ગઇ હતી. કોંગ્રેસના નેતાઓના ફોન પર લોન આપવામાં આપવામાં આવતી અને અબજો રૂપીયા આવી રીતે આપી દેવામાં આવતા હતાં. અમે આજે બેંકોની સિસ્ટમ પારદર્શક બનાવી છે.
કોંગ્રેસ છેલ્લા ૨૫ વર્ષોથી મને ગાળો દઇ રહી છે. અમે ૩૭૦ની દિવાલ તોડી છે. નોર્થ ઇસ્ટમાં શાંતિ સ્થાપી છે. પાકિસ્તાનના આતંકવાદને ઝડબાતોડ જવાબ આપ્યો છે અને ઘરમાં ઘુસીને માર્યા છે. ઓપરેશન સિંદુર કરીને દેશની સુરક્ષા કરી છે. કોંગ્રેસ અને ગાંધી પરિવાર વડાપ્રધાન પદને પોતાની પૈતૃક જાગીર સમજે છે. એમને દુ:ખ એ વાતનું છે કે વડાપ્રધાન તરીકે મોદી આટલો ટાઇમ શા માટે ટકી ગયા છે.
