રાજકોટની 90 વર્ષ જૂની શાકમાર્કેટની કરાશે કાયાપલટ: લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન કરી 22 દુકાન અને 148 થડાં બનશે
રાજકોટ મહાપાલિકાના 2025-26ના બજેટમાં શાસકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ધર્મેન્દ્ર રોડ પર આવેલી 90 વર્ષ જૂની લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન કરી ત્યાં હોકર્સ ઝોન અને ફ્રૂટ માર્કેટ બનાવવામાં આવશે. એકંદરે 2025માં જાહેર થયેલી યોજનાનું છેક 2026માં ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પ્રકારે તંત્રની `લેટલતીફી’ પણ ઉજાગર થઈ ચૂકી છે. હેરિટેજ મિલકતનો દરજ્જો મેળવી ચૂકેલી લાખાજીરાજ શાક માર્કેટને તોડી પાડવાની જગ્યાએ તેનું રિનોવેશન કરવામાં આવશે. આ માટે 5.63 કરોડથી વધુનો ખર્ચ કરી ત્યાં 22 દુકાન અને 148 થડા ઉભા કરાશે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આ માર્કેટ ખખડધજ હાલતમાં હોવાથી મહાપાલિકા દ્વારા તેની કાયાપલટ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. જો કે આ જાહેરાત બાદ ત્યાં થડા તેમજ વખાર ધરાવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને વાત છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં મહાપાલિકા દ્વારા જવાબ રજૂ કરાયા બાદ માર્કેટનું રિનોવેશન કરવાનો રસ્તો પણ ખુલ્યો હતો. દરમિયાન દિવાળી બાદ મહાપાલિકાએ માર્કેટનો કબજો પણ લઈ લીધો હતો. કબજો લીધો તે પહેલાં અહીં 80 જેટલા થડા અને 16 જેટલી વખાર આવેલી હતી.
આ પણ વાંચો :Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
હવે આ માર્કેટની કાયાપલટ કરવામાં આવનાર છે ત્યારે થડાની સંખ્યા વધારી 80ની જગ્યાએ 148 કરવામાં આવી છે સાથે સાથે 320 ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવતી 22 દુકાન પણ બનાવવામાં આવશે. જ્યારે આખીયે શાક માર્કેટનો એરિયા 1380 ચોરસમીટર હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. આ માટે 5,63,94,350 રૂપિયાના ખર્ચનો અંદાજ વ્યક્ત કરી ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. એજન્સી દ્વારા ટેન્ડર ભરાયા બાદ કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને કરાશે અને ત્યાંથી મંજૂરી મળ્યે કામ શરૂ થયા બાદ 18 મહિનાની અંદર કામ પૂર્ણ કરવામાં આવશે.
