સનાતન ધર્મ સામેની બકવાસ મુદ્દે 262 હસ્તીઓએ સુપ્રીમ કોર્ટને લખ્યો પત્ર
તામિલનાડુના વિવાદિત મંત્રી સામે પગલાં લેવા માંગણી
સનાતન ધર્મને બિમાર કહેનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ 262 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટને ચિઠ્ઠી લખી છે. આ લોકોએ સુપ્રીમ કોર્ટને મામલામાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે.
આ 262 લોકોમાં 14 જજ, 130 બ્યૂરોકેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ છે. તેમણે સ્ટાલિન સામે કોઈ એક્શન ન લેવા મામલે તમિલનાડુ સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉદયનિધિએ 2 સપ્ટેમ્બરના રોજ ભાષણ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગૂ, મેલેરિયા અને કોરોના સાથે કરી હતી… તેમણે કહ્યું હતું કે, ‘મચ્છર, ડેન્ગૂ, ફીવર, મલેરિયા અને કોરોના, આ એવી વસ્તુઓ છે, જેનો વિરોધ કરી શકાતો નથી… પરંતુ તેને ખતમ કરવું જરૂરી છે.’
દિલ્હી હાઈકોર્ટના જજ રહેલા એસ.એન.ઢીંગરા અને શિપિંગ સેક્રેટરી ગોપાલ કૃષ્ણએ પત્ર લખવાની પહેલ શરૂ કરી હતી. તેમણે કોર્ટને ઉદયનિધિ સ્ટાલિનના નફરતભર્યા ભાષણના પ્રચારને રોકવા, જાહેર શાંતિ જાળવવા અને વ્યવસ્થા સંભાળવા માટે વિચાર કરવાની માંગ પણ કરી છે.
પત્રમાં જણાવાયું છે કે, ઉદયનિધિ સ્ટાલિને ભારતમાં એક મોટા વર્ગ વિરુદ્ધ નફરત ફેલાવતું ભાષણ આપ્યું છે. ભારત બંધારણમાં ધર્મનિરપેક્ષ દેશ છે, તેથી આ નિવેદન સીધું બંધારણ વિરુદ્ધ છે. ઉપરાંત પત્રમાં જણાવાયું છે કે, તમિલનાડુ સરકારે સ્ટાલિન વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, જે કાયદાનું ઉલ્લંઘન છે.
પત્રમાં અગાઉના સુપ્રીમ કોર્ટના એક નિર્ણયને ટાંકીને જણાવાયું છે કે, ‘2021માં સુપ્રીમ કોર્ટે નફરત ફેલાવતા ભાષણો અથવા નિવેદનો પર રાજ્ય સરકારોને તુરંત કાર્યવાહી કરવાનો ઓર્ડર આપ્યો હતો.’ તેથી તમિલનાડુ સરકારે કાર્યવાહી કરવામાં મોડુ કર્યું, જે સુપ્રીમ કોર્ટનું અપમાન છે.
