શશી થરૂરે અમેરિકામાં પાકને શું આપી ચેતવણી ? શું કહ્યું ? વાંચો
ઓપરેશન સિંદૂરની સફળતા અને પહલગામ હુમલા પાછળના પાકિસ્તાન કનેક્શન વિશેની માહિતી વિશ્વને આપવામાં આવી રહી છે. ભારત સરકારે આ કાર્ય માટે 7 પ્રતિનિધિમંડળો તૈયાર કર્યા છે. તમામ પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતો 32 અલગ અલગ દેશોની મુલાકાત લઈ રહ્યા છે. આ સંદર્ભમાં, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચ્યું હતું. અહીં થરૂરે પાકને ચેતવણી આપી હતી કે હવે જો ભારત પર હુમલો થયો તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.
અમેરિકામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં શશિ થરૂરે એ જણાવ્યું કે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કેવી રીતે કર્યો. તેમણે આતંકવાદ સામે સમગ્ર વિશ્વને એક થવા હાકલ કરી. 9/11નો ઉલ્લેખ કરતા શશિ થરૂરે કહ્યું કે આપણે એવા શહેરમાં છીએ જે ખુદ આતંકવાદી હુમલાનો ભોગ બન્યું છે.
આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. શશી થરુરે પાકિસ્તાનને કડક શબ્દોમાં અમેરિકાની ધરતી પરથી ચેતવતાં કહી દીધું હતું કે હવે આવા કોઈપણ પ્રકારના હુમલા સાંખી નહીં લેવામાં આવે અને તેના ભયાનક પરિણામો પાકિસ્તાને ભોગવવા પડશે.
9/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ આપતા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે, “અમે 9/11 સ્મારક પર એ સંદેશ આપવા ગયા હતા કે 20 વર્ષ પહેલાં ન્યૂયોર્કમાં પણ આતંકવાદી હુમલાનો સામનો કરવો પડ્યો હતો અને અમે પણ આવો જ અનુભવ કર્યો છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ સમજે કે એકતાની જરૂર છે. આપણે વિશ્વને અમેરિકાની જેમ સંકલ્પ બતાવવાની જરૂર છે કે આપણે આવા આતંકવાદી હુમલાઓ વિરુદ્ધ છીએ અને અમે કાર્યવાહી કરીશું.”