રાજસ્થાનનાં ચુરુમાં વિશાળ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું…વાંચો
‘આ વખતે 4 જૂને 400 પાર…’
લોકસભાની ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ચુરુમાં એક જંગી જાહેરસભાને સંબોધી હતી અને કહ્યું હતું કે, અમે કામ કરવામાં માનીએ છીએ અને અમારે હજુ ઘણા કામ કરવાના બાકી છે.
ભારતીય જનતા પાર્ટીના કામનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે અત્યાર સુધી જે કામ થયું છે તે માત્ર ટ્રેલર છે. મોદીએ જે કર્યું તે માત્ર ભૂખ લગાડવા જેવું છે, ભોજનની આખી થાળી આવવાની બાકી છે. હજુ ઘણું કરવાનું બાકી છે, ઘણા સપના છે અને દેશને આગળ લઈ જવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે.
મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે રાજસ્થાન સહિત સમગ્ર દેશે ત્રીજી વાર પણ કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવાનો સંકલ્પ લઈ લીધો છે. સાથે સાથે મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને તેને અભિનંદન પણ કર્યા હતા, આ વેળાએ તેમણે કહ્યું કે, ‘ચુરુએ બતાવી દીધું કે આ વખતે 4 જૂન 400 પાર… થવા જઈ રહ્યું છે
મોદીએ કહ્યું કે અમારું સામાજિક માળખું એવું છે કે ઘર, ગાડી, ખેતર સહિત બધું જ માણસના નામે છે. પરંતુ મોદીએ નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલ ઘર મહિલાઓના નામે રહેશે. તેમણે કહ્યું કે જ્યારે રાજસ્થાનનો વિકાસ થશે ત્યારે ભારતનો પણ વિકાસ થશે. PM મોદીએ છેલ્લા 10 વર્ષમાં દેશ માટે કરેલા કાર્યોથી વિકસિત ભારતનો પાયો તૈયાર થયો છે.
અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે 10 વર્ષ પહેલા દેશની હાલત ખરાબ હતી. કોંગ્રેસના મોટા કૌભાંડો અને લૂંટને કારણે અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી અને કરોડો ગરીબોને માથે છત પણ ન હતી. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે દરેક મુસ્લિમ પરિવારની સુરક્ષા કરી છે. પહેલા મુસ્લિમ પરિવારના દરેક પિતા એવું વિચારતા હતા કે તેમણે તેમની દીકરીના લગ્ન કરાવી દીધા છે પરંતુ જો 2-3 બાળકો થયા પછી તેને ટ્રિપલ તલાક આપીને મોકલી દેવામાં આવે તો તે દીકરીને કેવી રીતે સંભાળશે. પરંતુ આ સરકારે ટ્રિપલ તલાક પર કાયદો લાવી આ દુષ્ટ પ્રથાનો અંત લાવ્યો છે.
કોંગ્રેસે આજે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા ઉપર ટીપ્પણી કરતા મોદીએ કહ્યું હતું કે, ભાજપ ચૂંટણી ઢંઢેરો નહી પરંતુ સંકલ્પ પત્ર લાવે છે અને આ સંકલ્પ પુરા પણ કરે છે.